ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામે એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના દિયર અને ભાભીએ બાવળના ઝાડ સાથે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, 19 વર્ષીય મહેન્દ્ર અને 35 વર્ષીય અતરાબેને ગામના સીમાડે એક ઝાડ નીચે લટકીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. અતરાબેનના લગ્ન 12 વર્ષ પહેલાં થયા હતા અને તેમને આઠ વર્ષનો એક દીકરો પણ છે.
આ ઘટના અંગે ગામમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બન્ને દિયર-ભાભી વચ્ચે પ્રેમસંબંધ હતો. જો કે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અતરાબેનના પિયર પક્ષ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રેફરલ હોસ્પિટલ ખાતે બન્ને પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ધાનેરા પોલીસ આ ઘટનાને લઈને વધુ તપાસ કરી રહી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર ગામને સ્તબ્ધ કરી દીધું છે.