કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે વોટ ચોરીનું અભિયાન છેડયું છે જેને લઈને દેશભરમાં વોટ ચોરી મુદ્દે કૉંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે, ત્યારે બનાસકાંઠા કોંગ્રેસ પણ જિલ્લાભરમાં વોટચોરીનો મુદ્દો લોકો સુધી લઈ જશે તેવું પાલનપુર ખાતે આયોજિત પત્રકાર પરિસદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 40 જેટલી લોકસભા બેઠક પર ખૂબ જ ઓછા માર્જિન થી કોંગ્રેસની હાર થઈ છે, જે અંગે તપાસ કરતાં વોટચોરીની આશંકા પ્રવર્તી રહી છે, ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ છેડેલા વોટચોરી અભિયાનને બનાસકાંઠા કોંગ્રેસ પણ ગામે – ગામ લઈ જશે. આ અંગે કોંગ્રેસ તાલુકામથકોએ વોટચોરી અને સ્થાનિક પ્રશ્નોને લઈને આંદોલન છેડશે. વધુમાં તેઓએ 31મી એ અમદાવાદ ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું.આ પ્રસંગે મહિલા પાયલોટ રાગીણી પરમાર કોંગ્રેસમાં જોડાતાં તેઓનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પત્રકાર પરિસદનું સ્વાગત પ્રવચન કોંગ્રેસ અગ્રણી મુકેશ ચૌહાણે કર્યું હતું . આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશ મંત્રી દિનેશ ગઢવી, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, ડામરાજી સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

