અન્ય શાકભાજી કરતા ઘણા મોંઘા કંકોડામાં ઔષધીય ગુણોનો ભંડાર; માત્ર ચોમાસામાં એક મહિનાની સિઝન ધરાવતા અને અરવલ્લીની પહાડીઓમાં પાકતા કંકોડા હાલમાં જિલ્લાની શાકમાર્કેટમાં નજરે પડી રહ્યા છે. પરંતુ ઓછી આવકના કારણે તેના ભાવ અન્ય શાકભાજી કરતા ઘણા વધુ છે. તેમ છતાં પરિવારના સ્વાસ્થ્યને નજરમાં રાખી ગૃહિણીઓ તેને હોંશભેર ખરીદે છે.
ઔષધીય વનસ્પતિઓ અને વન પેદાશોથી સમૃદ્ધ દાંતા, વડગામ અને અમીરગઢની અરવલ્લીની પહાડીઓના જંગલો અને ખેત વિસ્તારોમાં કંકોડા ચોમાસામાં આપમેળે ઊગી નીકળે છે. જે શાકમાર્કેટમાં રૂ.200 થી 240 પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. દુકાનદારો તેને આદિવાસીઓ પાસેથી રૂ.150 પ્રતિ કિલોના ભાવે ખરીદે છે. પછી તેને બજારમાં ઊંચા ભાવે વેચે છે.પણ મોંઘા હોવા છતાં હર કોઈ તેનો સ્વાદ માણવા આતુર હોય છે. આ બાબતે આયુર્વેદ ચિકિત્સક વૈદ્ય રમેશભાઈએ જણાવ્યું કે, પાવરફુલ શાકભાજી કંકોડા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં રહેલા ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્યને ફીટ રાખે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. અને તેમાં રહેલા લ્યુટીન જેવા કેરોટોનાઈડ્સ આંખના રોગ, હૃદય રોગ અને કેન્સરને રોકવામાં મદદરૂપ છે.વળી, તે ખૂબ જ પાચક પણ છે.તેથી તેની માંગ વધુ હોય છે.

