બાંગ્લાદેશમાં વધુ એક યુવાનની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી છે. આ ઘટના 24 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના રાજબારી જિલ્લાના પંગશા વિસ્તારમાં બની હતી, જ્યાં ખંડણી માંગવાના આરોપમાં ટોળાએ 29 વર્ષીય અમૃત મંડલની મારપીટ કરીને હત્યા કરી હતી. આ પહેલા, 18 ડિસેમ્બરના રોજ, દીપુ ચંદ્ર દાસ નામના એક હિન્દુ યુવાનની પણ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે થઈ છે. પંગશા ઉપજિલ્લાના હોસૈનડાંગા જૂના બજારમાં રાત્રે 11 વાગ્યે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે પછી તરત જ તેનું મૃત્યુ થયું હતું. સ્થાનિક રહેવાસીઓએ કથિત રીતે અમૃત મંડલ પર ખંડણી માંગવાનો આરોપ લગાવ્યો હતો, જેના પગલે પરિસ્થિતિ ભીડ હિંસામાં પરિણમી હતી. પોલીસે જણાવ્યું હતું કે મંડલ તેમના રેકોર્ડમાં “સમ્રાટ બહિની” નામના સ્થાનિક જૂથના નેતા તરીકે નોંધાયેલ છે. તે હોસૈનડાંગા ગામના રહેવાસી અક્ષય મંડલનો પુત્ર હતો.
કેટલાક અહેવાલોમાં અમૃત મંડલને હિન્દુ નેતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. અન્ય અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મંડલ વિરુદ્ધ પંગશા પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા બે કેસ નોંધાયેલા છે, જેમાં એક હત્યાનો પણ સમાવેશ થાય છે. ટોળાએ ખંડણી માંગવાના બહાને તેમની હત્યા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેઓ એક ગુનાહિત ગેંગ ચલાવતા હતા. હત્યાને યોગ્ય ઠેરવવા માટે, ટોળાએ આરોપ લગાવ્યો હતો કે તેઓ લાંબા સમયથી ખંડણી અને અન્ય ગુનાઓમાં સામેલ હતા. કથિત નિંદાના આરોપમાં ટોળા દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ટોળાની હિંસાની વધતી જતી ઘટનાઓ ચિંતાનો વિષય છે.
પોલીસે રાજબારી જિલ્લામાં અમૃત મંડલ નામના હિન્દુ યુવકની લિંચિંગની પુષ્ટિ કરી છે. આ કેસમાં સલીમ નામના યુવકની અટકાયત કરવામાં આવી છે. પોલીસ હત્યાને ખંડણી સાથે જોડી રહી છે. તેમનું કહેવું છે કે મૃતક ખંડણી ઉઘરાવનાર ગેંગનો સભ્ય હતો.

