વડનગરમાં મોઢ બ્રાહ્મણો દ્વારા પરંપરાગત રીતે રમવામાં અવતી ધેરની ઉજવણી કરવામાં આવી; પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વડનગરમાં હોળી અને ધુળેટી પર્વના તહેવારો ધામધૂમથી મનાવવામાં આવ્યા. જેમાં ફાગણ સુદ ચૌદસ પૂર્ણિમાથી લઈને ફાગણ વદ એકમના દિવસે ધૂળેટી અને ભવ્ય સાંસ્કૃતિક ભવાઈ ધડારસ જેવા કાર્યક્રમો યોજાશે.
ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જીલ્લાનું આનર્ત પ્રદેશ ગણાતું અનાદિ વડનગર શહેર કે જ્યાં ફાગણ સુદ ચૌદસ એટલે ઘેરૈયા ચૌદસ તરીકે મનાવવામાં આવે છે. આ ઘેરૈયા ચૌદસની પ્રથા વર્ષો જુની પરંપરા મુજબ ચાલી આવે છે. લગભગ ૭૦૦ વર્ષથી પણ વધારે વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા હાલ પણ એટલા જ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. વડનગરમાં વસતાં મોઢ બ્રાહ્મણ સમાજ દ્વારા આ ઘેર હોળી ધૂળેટી પર્વના નિમિત્તે જ રમવામાં આવે છે.
વડનગર શહેરના દરેક જ્ઞાતિ અને સમાજના લોકો આ ધેરનો ઉત્સવ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે દાંડીયા રાસ ખેલીને મનાવતા હોય છે. ઘેર ઉત્સવનો મહિમા આજના સમયમાં જોવા જઈએ તો જેમના ઘરે નવા બાળકો જન્મ્યા હોય કે કોઈના ઘરે તથા નવા લગ્ન થયેલા હોય ત્યારે ખાસ કરીને ફાગણ મહિનાની હોળી ધુળેટી પર્વ પર આ ઉત્સવ દ્વારા ધેર રમવામાં આવતી હોય છે.
આ ધેર ઉત્સવ મોઢવાડાના ચાચર ચોક ખાતે યોજાય છે અને ત્યાર બાદ લોકો ભેગા થઇને દાંડીયા સાથે લઈને કાપડ બજાર માં રમવા જતા હોય છે. મહત્વની બાબત તો અહીંયા એ છે કે ગામના લોકોમાં આનંદભેર ઉલ્લાસભેર અને ધાર્મિક તથા આધ્યાત્મિક યોગ ક્રિયાથી ધેર રમનારા ઘેરૈયાઓને આત્મિક ઉર્જા વધે છે અને લોકો આધ્યાત્મિકતા તરફ જવાના રસ્તા પર જઈ રહ્યા હોય તેવું જોવા મળતું હોય છે. આ પરંપરાગત પ્રથાને અનેક વર્ષોથી વડનગરમાં વસતાં મોઢ બ્રાહ્મણ સમાજ દ્વારા હાલ પણ સજીવન રાખવામાં આવી રહી છે કે જયાં આબાલવૃદ્ધ સૌ કોઈ ભેગા મળીને ઘેર ઉત્સવ મનાવતા હોય છે.