મહત્વાકાંક્ષી પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન સંપન્ન
ડીસા નગરપાલિકા વિસ્તારના લાખો નાગરિકો માટે સ્વચ્છ અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવાના મહત્ત્વકાંક્ષી લક્ષ્ય સાથે, “ડીસા પાણી પુરવઠા યોજના (અમૃત-૨.૦)” અંતર્ગત સંપ, એમએસ/ડીઆઈ પાઇપલાઇન, પંપરૂમ અને પમ્પિંગ મશીનરીની કામગીરીનું હરખભેર ભૂમિપૂજન સંપન્ન થયું છે. આ યોજનાના ભૂમિપૂજનનો કાર્યક્રમ કાંટ ખાતે યોજાયો હતો,આ શુભ પ્રસંગે નીતાબેન નીલેશકુમાર ઠક્કર (પ્રમુખ) શૈલેષભાઇ રાયગોર, પાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાન્ત દેસાઈ, ભાજપના કનુભાઈ જોશી, ચેતનભાઈ ત્રિવેદી, રમેશભાઈ દેલવાડીયા, અમિતભાઇ રાજગોર, રમેશભાઈ રાણા,ભદ્રેશભાઈ મેવાડા, સહિત ભાજપના કાર્યકરોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમણે તેમજ પાલિકા પ્રમુખે નગરજનોને આ યોજના દ્વારા મળનારા લાભો વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, સ્થાનિક અગ્રણીઓ, નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
ભૂમિપૂજન બાદ પોતાના સંબોધનમાં પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નરૂપ ‘અમૃત-૨.૦’ યોજના હેઠળ ડીસા શહેરને હવે આગામી સમયમાંમા નર્મદાનું પવિત્ર પીવાનું પાણી પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજના ડીસાવાસીઓના જીવનધોરણને ઊંચું લાવવામાં અને જળ સંરક્ષણની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થશે.ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરે આ યોજનાને ડીસા શહેર માટે ‘વિકાસની નવી દિશા’ ગણાવી હતી. તેમણે માનનીય મંત્રીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ શહેરના દરેક ઘરમાં ગુણવત્તાયુક્ત અને ચોવીસ કલાક પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠા યોજના (અમૃત-૨.૦) ની મુખ્ય કામગીરી અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ,પાઇપલાઇન નેટવર્ક, અત્યાધુનિક પંપ રૂમ અને પમ્પિંગ મશીનરીની સ્થાપના થનાર છે તેમજ આ યોજનાના નિર્માણ કાર્યમાં ગુણવત્તા અને સમયબદ્ધતા જળવાય તે માટે નગરપાલિકા પ્રતિબદ્ધ છે અને ટૂંક સમયમાં જ નગરજનોને નર્મદાના નીરનો લાભ મળતો થશે.

