અંગ દાન મહા દાનની જાગૃતિ અર્થે 40 સભ્યોના ગ્રુપની સાયકલિંગ યાત્રા; ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ૪૦ સભ્યોના સાયકલિંગ ગ્રુપે ‘અંગદાન મહાદાન’ ની જાગૃતિ ફેલાવવા માટે ડીસાથી અંબાજી સુધીની સાયકલ યાત્રા યોજી હતી. હાલ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને માં અંબાના દર્શને આવી રહ્યા છે, ત્યારે આ પવિત્ર અવસરે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ચાલીસ સભ્યોના સાયકલિંગ ગ્રુપે સાયકલ યાત્રા દ્વારા અંગદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોને મૃત્યુ બાદ અંગદાન કરવાથી અન્યના જીવનમાં કેવી રીતે નવો પ્રકાશ લાવી શકાય છે.તે અંગે જાગૃત કરવાનો હતો. આ ગ્રુપે ‘અંગદાન મહાદાન’ના પ્રણેતા દિલીપ દાદા દેશમુખના સૂત્રને લોકો સુધી પહોંચાડવા માટે ટી-શર્ટ અને બેનરો પ્રદર્શિત કર્યા હતા. આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, “મૃત્યુ બાદ અંગદાન કરવાથી અનેક લોકોની જિંદગીમાં નવો ઉજાસ ફેલાવી શકાય છે. લોકોમાં આ અંગે વધુ જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. હાલમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ પધારી રહ્યા છે, જેમને આ સંદેશો પહોંચાડવામાં આવશે” આ સાયકલ યાત્રા દ્વારા ભાદરવી પૂનમના મહાકુંભમાં આવેલા લાખો શ્રદ્ધાળુઓને અંગદાન અંગે પ્રેરણા આપવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

