એર ઈન્ડિયાના મુસાફરો થાઈલેન્ડના ફૂકેટમાં લગભગ 80 કલાકથી ફસાયેલા છે. ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI377 ફૂકેટથી દિલ્હી આવવાની હતી. દિલ્હીની ફ્લાઇટ 16 નવેમ્બરની રાત્રે આવવાની હતી પરંતુ હજુ સુધી આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફૂકેટમાં હાલમાં 35-40 મુસાફરો છે, તેઓને આજે સાંજની ફ્લાઈટ દ્વારા બહાર કાઢવામાં આવશે.
પહેલા ટેકનિકલ સમસ્યા પછી ઈમરજન્સી લેન્ડિંગ
મળતી માહિતી મુજબ ટેક્નિકલ ખામીના કારણે પ્લેનને 6 કલાક મોડા ઉડવાની જાહેરાત કરવામાં આવી હતી. પછી જ્યારે બોર્ડિંગ શરૂ થયું, એક કલાક પછી મુસાફરોને ઉતારવામાં આવ્યા અને ફ્લાઈટ કેન્સલ થવાની જાણ કરવામાં આવી. એર ઈન્ડિયા સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ફ્લાઇટ ડ્યૂટી સમય મર્યાદાના કારણે 16 નવેમ્બરે વિમાન ઉડ્યું ન હતું. 17 નવેમ્બરે જ્યારે પ્લેન ઉડાડવામાં આવ્યું ત્યારે તેમાં ટેક્નિકલ સમસ્યા આવી ગઈ, જેના કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એરક્રાફ્ટ રિપેર થઈ શક્યું નહોતું જેના કારણે સમસ્યા સર્જાઈ હતી.