અમદાવાદમાં એર ઈન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનર પ્લેન ક્રેશની તપાસ હજુ પણ ચાલુ છે અને અકસ્માત સ્થળેથી ઘણી કિંમતી વસ્તુઓ મળી આવી છે, જેમાં સોનું, રોકડ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. અકસ્માત સ્થળેથી ભગવદ ગીતા પણ મળી આવી હતી જેને આગથી કોઈ નુકસાન થયું ન હતું. અમદાવાદથી લંડન જઈ રહેલું આ પ્લેન 12 જૂનના રોજ ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. એક મુસાફર સિવાય, પ્લેનમાં સવાર અન્ય તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો મૃત્યુ પામ્યા હતા.
એર ઇન્ડિયાનું આ વિમાન બીજે મેડિકલ કોલેજના મેસ પર ક્રેશ થયું હતું. દુર્ઘટના સમયે વિદ્યાર્થીઓ બપોરનું ભોજન કરી રહ્યા હતા. વિમાન મેસ બિલ્ડિંગ સાથે અથડાતાની સાથે જ ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ૫૬ વર્ષીય રાજુ પટેલ અકસ્માત સ્થળે પહોંચનારા પ્રથમ લોકોમાં સામેલ હતા. તેઓ અકસ્માતના પાંચ મિનિટમાં જ અકસ્માત સ્થળે પહોંચી ગયા અને સ્થાનિક લોકો સાથે બચાવ કાર્યમાં જોડાયા. રાજુ પટેલે જણાવ્યું કે આગની તીવ્રતાને કારણે, અમે પહેલા ૧૫-૨૦ મિનિટમાં અકસ્માત સ્થળે પહોંચી શક્યા નહીં.
તેમણે કહ્યું કે ઇમરજન્સી સેવાઓ પહોંચ્યા પછી અને આગ શાંત થયા પછી જ અમે ઘટનાસ્થળે પહોંચી શક્યા. તેમણે કહ્યું કે શરૂઆતમાં સ્ટ્રેચર પણ પહોંચી શક્યું ન હતું, તેથી ઘાયલોને સાડી કે ચાદરમાં લપેટીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રાજુ અને તેમની ટીમ રાત્રે 9 વાગ્યા સુધી ઘટનાસ્થળે જ રહી. પટેલે કહ્યું, પહેલી ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ આવતાની સાથે જ અમે મદદ કરવા આગળ વધ્યા. અમે જે કંઈ કરી શક્યા તે કર્યું. મુસાફરોનો સામાન પણ વિમાનના કાટમાળમાં વેરવિખેર થઈ ગયો હતો. રાજુ અને તેમની ટીમે સામાન શોધવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમને 70 તોલા (800 ગ્રામથી વધુ) સોનાના દાગીના, 80,000 રૂપિયા રોકડા, પાસપોર્ટ અને ભગવદ ગીતા મળી. તેમણે આ બધી વસ્તુઓ પોલીસને સોંપી દીધી હતી.

