મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરી જ્યારે પુરજોશમાં ચાલી રહી છે ત્યારે મહેસાણા મનપા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા વચ્ચે ટ્રાફિકને અડચણરૂપ થતાં દબાણો અને લારી ગલ્લાઓ હટાવી દેવાની કડક કાર્યવાહી કરી નોટિસો ફટકારી દેવામાં આવી હતી. જેના લીધે કેટલાય નાના મોટા ધંધા રોજગારને મોટાપાયે અસર થઈ હતી. શહેરના ટ્રાફિકને અડચણરૂપ થતા દબાણકારો અને લારી ગલ્લા વાળાઓએ એકત્ર થઈને મનપા કમિશ્નરને યોગ્ય જગ્યા ફાળવી આપવા માંગ કરી હતી જેના પગલે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આ તમામને વિવિધ વિસ્તારોમાં જગ્યા ફાળવવામાં આવી હતી.
જેના લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં આંશિક ઘટાડો થયેલો જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ થતા દબાણકારો અને લારી ગલ્લા વાળાઓએ યથાવહ દબાણો કરવાના શરૂ કરી દીધા છે, ફરીથી શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની એજ સમસ્યા ઉદભવી રહી છે ત્યારે ફરીથી દબાણ કરનારાઓ સામે શા માટે કોઈ પગલાં ભરવામાં નથી આવી રહ્યા?? શું મહાનગરપાલિકાના કમિશ્નર, અધિકારીઓ કે સભ્યોને આ બધા દબાણો નહીં દેખાતા હોય?? કોણ છે આ જવાબદાર કે જે આ દબાણકારોને એની એજ જગ્યા પર પુનઃ સ્થાપન કરાવી મહાનગરપાલિકાના વિકાસમાં રોડા રૂપ સાબીત થયું છે?
ખાનગી ધોરણે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહાનગરપાલિકાના કહેવાતા અમુક અધિકારીઓ અને સાંઠ ગાંઠિયા સભ્યો દ્વારા જ આ દબાણકારોને પાછા દબાણ કરાવવામાં આવેલા છે જેમાં ક્યાંકને ક્યાંક મહેસાણા મહાનગરપાલિકાની જ મહેરબાની રહેલી છે તો ક્યાંક જેતે વિસ્તારના સભ્યો જ લ્હાણી કરતા હોય તેમ ખાનગી વહીવટદાર રાખીને તેમના દ્વારા વહીવટ કરીને શાકભાજીની લારીઓ તેમજ દબાણકારોને પુનઃ સ્થાપન કરાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ એવી પણ વાત સાંભળવા મળી છે કે મહાનગરપાલિકાના અમુક અધિકારીઓ અને તેમના રાખેલા ખાનગી સાગરીતો દ્વારા પ્રતિ દિવસ હપ્તા લઈ રસ્તા પર ઉભા રહી ધંધો કરવાની પરવાનગી આપવામાં આવી છે જેમાં દરરોજ ઉભા રહીને ધંધો કરવા માટે 50, 100, 150 અને 200 રૂપિયા વસુલવામાં આવતા હોવાનું પણ ખાનગી રાહે જાણવા મળેલ છે.


