ગયા અઠવાડિયે, સેબીએ અમેરિકન કંપની હિન્ડનબર્ગ દ્વારા અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. જ્યારથી અદાણીને સેબી તરફથી ક્લીનચીટ મળી છે, ત્યારથી ગ્રુપ કંપનીઓના શેરમાં ઝડપથી વધારો થયો છે. ગયા અઠવાડિયાના શુક્રવાર પછી, આજે સોમવારે પણ ગ્રુપ કંપનીઓના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. આ બે દિવસમાં ગ્રુપના શેરમાં જોરદાર વધારાને કારણે, અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં કુલ રૂ. ૧.૭૮ લાખ કરોડનો વધારો નોંધાયો છે. આનો સીધો અર્થ એ થયો કે આ બે દિવસમાં, અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૭૮ લાખ કરોડનો મોટો વધારો થયો છે.
સેબીએ હિંડનબર્ગ કેસમાંથી અદાણી ગ્રુપની કંપનીઓને મુક્ત કર્યા પછી રોકાણકારોએ તેમના શેર ખરીદવા માટે ઉતાવળ કરી હતી. સેબીએ પોતાના આદેશમાં હિંડનબર્ગના સ્ટોક મેનીપ્યુલેશન અને સંબંધિત પક્ષના દુરુપયોગના આરોપોને ફગાવી દીધા હતા. આનાથી અદાણી ગ્રુપમાં રોકાણકારોની ભાવનામાં વધારો થયો અને ગ્રુપના શેર સતત બીજા દિવસે વધ્યા. હિંડનબર્ગના આરોપોમાંથી મુક્ત થયા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કર્મચારીઓને સંદેશમાં કહ્યું, “આજે, બે વર્ષથી અમારા પર છવાયેલા વાદળ દૂર થઈ ગયા છે.”
સોમવારે, BSE પર અદાણી પાવરના શેર 19.99 ટકાના ઉપલા સર્કિટ સાથે રૂ. 170.15 પર પહોંચી ગયા. અદાણી ટોટલ ગેસના શેર 19.87 ટકા, અદાણી ગ્રીન એનર્જી 11.75 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન્સ 6.94 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ 4.24 ટકા, અંબુજા સિમેન્ટ્સ 1.43 ટકા, અદાણી પોર્ટ્સ 1.17 ટકા, NDTV 1.12 ટકા અને ACC 0.30 ટકા વધ્યા. આ કંપનીઓએ મળીને બે દિવસમાં ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 1,78,598.41 કરોડનો ઉમેરો કર્યો

