ડીસામાં લગ્ન પ્રસંગે વાડીમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ સર્જાઈ

ડીસામાં લગ્ન પ્રસંગે વાડીમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ સર્જાઈ

ફટાકડાના તણખલાના કારણે આગ લાગી હોવાનું અનુમાન, તંત્ર દ્વારા તપાસ શરૂ

બનાસકાંઠા જિલ્લામાં લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. ત્યારે ડીસા શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી પંચાલ વાડીમાં આયોજિત એક લગ્ન સમારંભમાં અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. લગ્ન મંડપમાં લાગેલી આગને પગલે પ્રસંગમાં આવેલા મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં લગ્નોની સિઝન જામી છે. ખાસ કરીને પાલનપુર,ડીસા, થરાદ,વાવ, ધાનેરા,થરા જેવા શહેરી વિસ્તારોમાં મોટાપાયે લગ્નો નિર્ધારિત થયા છે. જેથી ઠેરઠેર લગ્નના માંડવડા રોપાયેલા નજરે પડે છે. વિશેષ કરીને પાર્ટી પ્લોટ અને હોટલોમાં પણ લગ્નોની ધૂમ મચી છે. જે વચ્ચે નીકળતા વરઘોડા અને ડીજે પર નાચતા જાનૈયાઓના ઉત્સાહને લઈ સર્વત્ર લગ્નોની મોજ સાથે આનંદનું વાતાવરણ છવાયું છે ત્યારે ડીસાના રેલવે સ્ટેશન રોડ સ્થિત પંચાલ વાડીમાં એક લગ્નની ધામધૂમ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક મંડપના ઉપરના ભાગે આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. સજાવટના સામાનમાં આગ ઝડપથી પ્રસરી રહી હોવાથી આયોજકો અને મહેમાનો તાત્કાલિક વાડીની બહાર દોડી ગયા હતા.અને ભારે અફરાતરફી મચી ગઇ હતી.

આગની ​ઘટના અંગે જાણ થતા જ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર નિયંત્રણ મેળવી લેવાતા લોકો સાથે જાનૈયા અને મહેમાનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો ​સ્થાનિક સ્તરે લોકોના પ્રાથમિક અનુમાન મુજબ, લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતી વખતે ઉડેલી એક ચિંગારી મંડપના કાપડ કે શણગારના સામાન પર પડતા આગ લાગી છે. જો કે, નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા આગ લાગવાના સચોટ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાવચેતી અનિવાર્ય નહીં પણ આવશ્યક….

આગની આ ઘટનાએ ફરી એક વાર સાબિત કર્યું છે કે ભીડભાડવાળા લગ્ન પ્રસંગોમાં આતશબાજી કરતી વખતે સાવચેતી રાખવી કેટલી અનિવાર્ય છે ? નસીબ જોગે ફાયર ફાયટર સમયસર આવી જતા મોટી હોનારત ટળી ગઈ હતી પણ હર કોઈના જીવ અધ્ધર થઈ ગયા હતા.ત્યારે સામાન્ય બેદરકારી ક્યારેક મોટી દુર્ઘટનામાં પરિણમી શકે છે.તેથી લગ્ન જેવા પ્રસંગોમાં સાવચેતી રાખવી અનિવાર્ય નહિ પણ આવશ્યક છે.તેવો મત જાગૃત લોકોએ વ્યક્ત કર્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *