ઇન્ટરનેશનલ યર ઓફ કો-ઓપરેટીવ સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ ડેરી,પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના સફળ નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં સહકાર ક્ષેત્ર વધુ મજબૂત બની રહ્યું છે. સહકાર ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત અગ્ર હરોળમાં પહોંચ્યું છે. સહકાર ક્ષેત્રે તમામ વ્યવસ્થાઓ તથા પ્રવૃતિઓ ઉભી કરાઈ રહી છે. મંત્રીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની વિવિધ પ્રવૃતિઓ વધુ મજબૂત બને તે જરૂરી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ ખેડૂતો, પશુપાલકો, એ.પી.એમ.સીના વેપારીઓ સહકારી બેંક સાથે જોડાય તે જરૂરી છે. ડિજિટલ ટ્રાન્ઝેકશનની સંખ્યામાં વધારો થાય, માઇક્રો અને રુપે એ.ટી.એમ.થકી નાણાં ઉપડે, સહકારી મંડળીઓમાં જન ઔષધિ કેન્દ્ર, CSC સેન્ટર, ધિરાણ સહિતની પ્રવૃતિઓ વધે તે જરૂરી છે. બનાસ બેન્કની નવીન શાખાઓ ખુલે, તમામ વેપારીઓ સહકાર ક્ષેત્ર થકી આગળ વધે તે મુજબની કામગીરી કરવા સૂચન કરાયું હતું.
મંત્રીએ જણાવ્યું કે, નાગરિકોની આવકમાં વધારો કરી શકીએ તથા સ્થાનિક રોજગારીમાં વધારો થાય તે હેતુથી સહકારી સંસ્થાઓએ વેલ્યુ એડીશન તરફ આગળ વધવું જોઈએ. એ.પી.એમ.સી દ્વારા વેલ્યુ એડીશન કરીને પોતાની પ્રોડક્ટ માર્કેટમાં વહેંચવી જોઈએ. મંત્રીએ સહકાર ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાની નોંધપાત્ર કામગીરીને બિરદાવી હતી તથા સહકાર ક્ષેત્રે બનાસકાંઠા વધુ મજબૂત બને તે મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે બનાસ બેંક અને જિલ્લા સહકારી મંડળીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. સહકારી આગેવાનોએ મંત્રી અને મહાનુભાવો સાથે સંવાદ સાધ્યો હતો.

