રિક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું કરુણ મૃત્યુ, 6 મુસાફરો ઘાયલ; ડીસા તાલુકાના શેરપુરા-કંસારી રોડ પર બુધવારે સાંજના સુમારે રિક્ષા અને બાઈક વચ્ચે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક ગર્ભવતી મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય છ મુસાફરોને ઓછી-વત્તી ઈજાઓ થઈ હતી. મૃતક મહિલાના પતિએ મોટર સાયકલ ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શેરપુરા-કંસારી માર્ગ પર આવેલા સાંઈ કોલ્ડ સ્ટોરેજ નજીક એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં GJ-08-Z-4561 નંબરની એક રિક્ષા અને GJ-08-CF-7514 નંબરના મોટર સાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર વિનોદભાઈ બળવંતજી સોતવાડીયા (ઠાકોર) ની 22 વર્ષીય પત્ની અનિતાબેનનું, જેઓ આશરે પાંચ મહિનાના ગર્ભવતી હતા, ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે અનિતાબેનને મોઢા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને ઈસ્કોન આઈ.સી.યુ. ડીસા ખાતે લઈ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય છ મુસાફરો, જેમાં મેવાભાઈ કાનાજી, લાસુબેન મેવાભાઈ, મણીબેન હમીરભાઈ, પૂજાબેન નાગજીભાઈ, અને હંશાબેન નાગજીભાઈનો સમાવેશ થાય છે, તેમને પણ ઓછી-વત્તી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અલગ અલગ વાહનોમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. પૂજાબેનની સારવાર હાલ ઈસ્કોન આઈ.સી.યુ.માં ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ, મોટર સાયકલ ચાલક ધવલસિંહ પુનમસિંહ રાજપુત (રહે. યાવરપુરા, તા. ડીસા) પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી રહ્યો હતો, જેના કારણે તેણે રિક્ષાને ડ્રાઈવર સાઈડ તરફથી સામેથી ટક્કર મારી હતી. મોટર સાયકલ ચાલક ધવલસિંહને પણ ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેમને પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃતક અનિતાબેનના પતિ વિનોદભાઈએ ડીસા પોલીસ સ્ટેશનમાં બાઈક ચાલક ધવલસિંહ પુનમસિંહ રાજપુત વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને મૃત્યુ નિપજાવવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

