(G.N.S) Dt. 24
અમદાવાદ,

વીર રસની છોળો વચ્ચે ઉપસ્થિત જનમેદનીએ દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની શહાદતને વંદન કર્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5” કાર્યક્રમ ભવ્ય અને ગૌરવમય માહોલમાં યોજાયો હતો. વીરાંજલિ સમિતિ અને GTPLના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિરતા, શૌર્ય અને અડગ દેશપ્રેમના ભાવોથી ઓતપ્રોત ડાયરાની રજૂઆત દ્વારા રાષ્ટ્રના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં લોકપ્રિય કલાકારો સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને અલ્પા પટેલ સહિતના કલાવૃંદે વિરતાભરી વાતો, પ્રેરણાદાયક પ્રસંગો અને શૌર્યગીતોની મનોહર પ્રસ્તુતિ કરી હતી. કલાકારોની ભવ્ય રજૂઆતો દ્વારા દેશના વીર શહીદોની ગાથાઓને જીવંત બનાવી ઉપસ્થિત જનમેદનીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવનો અદ્દભૂત સંચાર થયો હતો.
કાર્યક્રમ દરમિયાન શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત અનેક અમર વીર શહીદોની શહાદતને યાદ કરી તેમની વિરતા અને બલિદાનને નમન કરવામાં આવ્યું હતું. દેશ માટે પોતાના પ્રાણ અર્પણ કરનાર આ મહાન વીરોએ આપેલા બલિદાનની ગાથાઓએ ઉપસ્થિત લોકોમાં અપરંપાર ગૌરવ અને પ્રેરણાનો ભાવ જગાવ્યો હતો.
વીરતા અને શૌર્યથી ઓતપ્રોત ગીતો, કથાઓ અને ભાવવિભોર રજૂઆતોના સ્વરોથી સમગ્ર સાણંદ દેશભક્તિના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. વીર રસની છોળો વચ્ચે ઉપસ્થિત જનમેદનીએ દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની શહાદતને વંદન કર્યા હતા.
આ કાર્યક્રમ દેશપ્રેમ, રાષ્ટ્રીય ગૌરવ અને શહીદોના બલિદાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સ્મરણિય અવસર બની રહ્યો હતો.
આ પ્રસંગે રાજસ્થાનના શહીદ પ્રતાપસિંહજીના પ્રપૌત્ર શ્રી શત્રુસલ્યસિંહજી બારહટ, કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રીશ્રીઓ સંજયસિંહ મહિડા, કમલેશભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા, રિવાબા જાડેજા, પ્રવીણભાઈ માળી, કૌશિકભાઈ વેકરીયા, જયરામભાઈ ગામીત, સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, શહેર ભાજપા પ્રમુખ પ્રેરકભાઈ શાહ, વીરાંજલિ સમિતિના પ્રદીપસિંહ વાઘેલા અને સંજયભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા, મુળુભાઈ બેરા, ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યભરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

