જરૂર પડે તો લાકડાના ભઠ્ઠા પર રસોઈ બનાવી યાત્રિકોને ભોજન પીરસાશે
યાત્રાધામ અંબાજીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય બંધ થતાં સ્થાનિક હોટલો અને રેસ્ટોરાં પર તેની અસર જોવા મળી રહી છે. હાલની પરિસ્થિતિમાં જો કોમર્શિયલ ગેસ ઉપલબ્ધ નહીં થાય તો અંબાજીની અંદાજે 30 થી 40 જેટલી હોટલો બંધ કરવાની નોબત આવી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. મધ્ય પૂર્વ યુદ્ધની પરિસ્થિતિને કારણે દેશમાં રાંધણ ગેસની અછત સર્જાઈ શકે તેવી આશંકા વચ્ચે તંત્ર દ્વારા કેટલીક મર્યાદાઓ લાગુ કરવામાં આવી છે. તેના ભાગરૂપે હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું ગેસ એજન્સી દ્વારા જણાવાયું છે.
અંબાજીમાં રોજ હજારો યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે. અહીં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિશુલ્ક અન્નક્ષેત્રમાં દરરોજ લગભગ પાંચ હજારથી વધુ યાત્રિકોને બે વખત ભરપેટ ભોજન આપવામાં આવે છે. અન્નક્ષેત્રમાં હાલ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર વડે રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે.અંબીકા ભોજનાલયના મેનેજર હરદાસભાઈ પરમારે જણાવ્યું હતું કે હાલમાં અન્નક્ષેત્ર પાસે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. મંદિર ટ્રસ્ટ અગાઉથી જ આ બાબતે વ્યવસ્થા રાખે છે. જો આવનારા સમયમાં ગેસની અછત ઉભી થાય તો લાકડાના ચુલા અથવા ભઠ્ઠા બનાવી તેના પર રસોઈ તૈયાર કરી યાત્રિકોને નિશુલ્ક ભોજન આપવાનું ચાલુ રાખવામાં આવશે. બીજી તરફ ગેસ એજન્સીના માલિક અક્ષય મિશ્રાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં ગેસની અછત અંગે જે પ્રકારની ચર્ચા થઈ રહી છે તે વધારાની છે. હાલમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. અગાઉ 21 દિવસે ગેસ બુકિંગનો નિયમ હતો, તેને વધારીને હવે 25 દિવસે બુકિંગનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેથી દરેક ગ્રાહક સુધી ગેસ પહોંચી શકે. હાલ કોઈના ચુલા બંધ ન રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારના નિર્દેશ અનુસાર હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ ગેસના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે હોટલો અને રેસ્ટોરાંને કોમર્શિયલ ગેસ સિલિન્ડર આપવામાં આવતા નથી.આ નિર્ણયના કારણે અંબાજીની 30 થી 40 જેટલી હોટલો સીધી અસર હેઠળ આવી છે. હાલ જે સ્ટોક છે તેના આધારે હોટલો ચાલી રહી છે, પરંતુ ગેસ ઉપલબ્ધ ન થાય તો ભવિષ્યમાં હોટલો બંધ કરવાની ફરજ પડી શકે છે. અંબાજીમાં રોજ હજારો યાત્રિકો આવતા હોવાથી તેમને ભોજન માટે તકલીફ ન પડે તે માટે હોટલ સંચાલકો દ્વારા અંબાજીમાં કોમર્શિયલ ગેસની સપ્લાય સત્વરે ફરી શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
આ બાબતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લામાં ત્રણ કંપનીઓની 37 જેટલી ગેસ એજન્સીઓના ધારકો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લામાં ગેસની અછત ન સર્જાય અને ગેસની સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.




