છ વોર્ડના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ
રાજ્યના વહીવટમાં પારદર્શકતા લાવવા અને પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાના ઉમદા આશય સાથે હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખશ્રી વિમલ ઉપાધ્યયના અધ્યક્ષતામાં યોજાયો. શહેરના વોર્ડ નં. ૧, ૩, ૪, ૫, ૬ અને ૭ એમ કુલ છ વોર્ડના નાગરીકો માટે ડૉ. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતો અને અરજીઓનો ગુણદોષના આધારે સ્થળ પર જ નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સેવાસેતુના માધ્યમથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર એક જ દિવસમાં વિવિધ કાર્ડ અને દાખલાઓ સહિતના લાભો મળી રહ્યા છે.
કાર્યક્રમ દરમિયાન સૌથી વધુ લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ અને આવકના દાખલા મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં પણ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવી હતી. આવકનો દાખલો, આધારકાર્ડ, ક્રિમીલેયર સર્ટિફિકેટ ,રેશનકાર્ડ સંબંધિત કામગીરી. મા અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજના, મેડિકલ હેલ્થ કેમ્પ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય અને આદિજાતી વિભાગની યોજનાઓ. જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, ગુમાસ્તા ધારા લાયસન્સ અને આકારણી પત્રક સહિતની સેવાઓ ઉપલબ્ધ હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ભાટી, મામલતદાર રોનકસિંહ પઢારીયા, નગરપાલિકાના સદસ્યઓ તેમજ પાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

