સ્થાનિક ધારાસભ્ય અને તંત્ર કોઈનું સાંભળતા જ નથી
મહેસાણા જિલ્લાના અતિ પ્રસિદ્ધ એવા ગણપતિ મંદિર ઐઠોર ગામ ખાતે સ્થાનિક ધારાસભ્યની નિષ્ક્રિયતા અને તંત્રની બેદરકારીનો ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે. જ્યાં છેલ્લા બે વર્ષથી ગ્રામજનો સારા રોડ રસ્તા માટે વારંવાર રજુઆત કરી ને થાક્યા છે. કે જ્યાં આટલું મોટું યાત્રાધામ આવેલું હોઈ ઐઠોર ગામને જોડતા રોડ રસ્તા ખખડધજ હાલતમાં છે જેના સમારકામ અને લેવલિંગ માટે ગ્રામજનોએ સરકારી તંત્ર સહિત સ્થાનિક ધારાસભ્યને પણ અનેકોવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ આ બાબતે સરકારી તંત્રમા અધિકારીઓને કોઈ રસ છે કે ના તો ધારાસભ્યએ કોઈ અંગત રસ દાખવ્યો છે. જેના કારણે સરકારી અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય પણ ઐઠોર ગ્રામજનોના રોષનો ભોગ બન્યા છે.
પ્રતિ વર્ષ લાખો ભક્તો જ્યાં દર્શન કરવા આવતા જતા હોય છે તેવા ઉમિયા માતાજી મંદિર ઊંઝા, શ્રી ગણપતિ મંદિર, ઐઠોર અને શ્રી વાળીનાથ મહારાજ, તરભના મુખ્ય રસ્તા યોગ્ય લેવલિંગ વગરના હોવાથી સ્થાનિક નેતાઓની અણઆવડત અને લોકસેવાના જાહેર હિતના કામના કરવાની દાનત લોકમાનસમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. મોઘીધાટ ગાડીઓમાં અવાર-નવાર આ રોડ પરથી પસાર થતા નેતાઓ કે હોદ્દેદારોની નજરમાં આ સમસ્યા આવશે કે કેમ તે વિચાર માંગી લે તેવી બાબત છે, પરંતુ તેની સામે ટૂંક સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જ આ લોકોને જવાબ આપીશું તેવું લોકોમુખે ચર્ચાઈ રહ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર સમાચાર પત્રો, સોસીયલ મીડિયામાં અહીંના રોડ રસ્તાની સમસ્યા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જેનો સખત હોબાળો થયેલ હોવા છતાં જાડી ચામડીના નેતાઓના પેટનું પાણી હલતું હોય તેમ લાગતું નથી. અગાઉ આ પ્રશ્નની રજુઆત લેખિતમાં મહેસાણા જિલ્લા કલેક્ટર સુધી પણ કરવામાં આવેલ છે. તંત્ર તરફથી 2 વર્ષ પછીય કોઈ યોગ્ય જવાબી કાર્યવાહી ના થતા સ્થાનિક તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જોકે મહત્વની વાત એ છે કે આવતા અઠવાડિયા પછી ઐઠોર ગામે ઉત્તર ગુજરાતના સૌથી મોટા પરંપરાગત લોકમેળો યોજાવા જઇ રહ્યો છે. ત્યાંરે સમારકામ અને લેવલિંગ વગરના આ રોડની કાયમી સમસ્યાનો ભોગ તંત્રના પાપે યાત્રાળુઓને બનવું પડશે તે સમગ્ર તંત્ર માટે શરમજનક બાબત બની રહેશે.

