ડીસામાં જાહેર રસ્તા પર દુકાનદારોનો કબજો : પાલિકાની દંડાત્મક કાર્યવાહીથી ખળભળાટ મચ્યો

ડીસામાં જાહેર રસ્તા પર દુકાનદારોનો કબજો : પાલિકાની દંડાત્મક કાર્યવાહીથી ખળભળાટ મચ્યો

ડીસા શહેરના મામલતદાર રોડ પર આવેલી આદર્શ સ્કૂલ સામેના વિસ્તારમાં જાહેર રસ્તા પર દુકાનદારો દ્વારા કરવામાં આવતી બેદરકારી અને ગેરકાયદેસર કબજાઓને લઈને આખરે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. લાંબા સમયથી ચાલતી આવતી ફરિયાદોને ધ્યાનમાં લઈને ગત રોજ ડીસા નગરપાલિકાના કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મામલતદાર રોડ ડીસા શહેરનો વ્યસ્ત માર્ગ ગણાય છે, જ્યાં રોજિંદા હજારો વાહનચાલકો તેમજ રાહદારીઓ અવરજવર કરે છે. આ માર્ગ પર આવેલી આદર્શ સ્કૂલને કારણે સવારે અને બપોરના સમયે વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહેતી હોય છે. તેમ છતાં કેટલાક દુકાનદારો દ્વારા પોતાના દુકાનના સર સામાન, સ્ટેન્ડ, બેનરો અને જાહેરાતોના મોટા બોર્ડ જાહેર રોડ પર મુકવામાં આવતા રસ્તાની પહોળાઈ ઘટી જતી હતી. પરિણામે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘણા સમયથી આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી હતી. દુકાનદારો દ્વારા દુકાનની સીમા બહાર સુધી માલ સામાન મૂકી દેતા રસ્તો જાણે દુકાનોનો જ ભાગ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાતી હતી. ખાસ કરીને સ્કૂલ સમય દરમિયાન વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરતી વખતે જોખમનો સામનો કરવો પડતો હતો. આ બાબત અંગે વારંવાર નગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નહોતા. પરંતુ તાજેતરમાં ફરીથી ઉઠેલી ફરિયાદોને પગલે નગરપાલિકાના કર્મચારીઓએ અચાનક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાહેર રસ્તા પર મુકાયેલા સામાન અને બોર્ડ દૂર કરાવવા સાથે સંબંધિત દુકાનદારોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો.

નગરપાલિકાની આ કાર્યવાહી દરમિયાન કેટલાક દુકાનદારોમાં અસંતોષ પણ જોવા મળ્યો હતો, પરંતુ તંત્રએ સ્પષ્ટ જણાવ્યું કે જાહેર રસ્તા પર ગેરકાયદેસર કબજો કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ખાસ કરીને શાળા અને કોલેજોના વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું.સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ પણ નગરપાલિકાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. તેમનું કહેવું છે કે, જો સમયસર આવી કાર્યવાહી કરવામાં આવે તો શહેરના રસ્તાઓ પર થતા ગેરકાયદેસર કબજાઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય. કેટલાક નાગરિકોએ માંગણી કરી છે કે માત્ર દંડ સુધી મર્યાદિત ન રહી નિયમિત ચેકિંગ અભિયાન પણ હાથ ધરવામાં આવે.

આ સમગ્ર મામલે પાલિકા કર્મીઓએ જણાવ્યું હતું કે, જાહેર માર્ગો દરેક નાગરિક માટે છે અને તેને વ્યક્તિગત હિત માટે અવરોધરૂપ બનાવવું યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને આવા ગેરકાયદેસર કબજાઓ સામે સતત કાર્યવાહી થવી જરૂરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *