(જી.એન.એસ) તા. ૬
અમદાવાદ,

અમદાવાદના શાહીબાગ તથા આસપાસના વિસ્તારોના નાગરિકોની સુવિધા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જેઠાભાઈ ગાર્ડનની પાસે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું નવું સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે આ સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આશરે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આ મકાનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ઓફિસ તથા અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ વિભાગની ઓફિસ બનાવવામાં આવી છે. આ નવી કચેરીઓના પ્રારંભથી વિસ્તારના સ્વચ્છતા વ્યવસ્થાપનને વધુ સક્ષમ બનાવવામાં સહાય મળશે તેમજ નાગરિકોને નગરસેવા સંબંધિત વિવિધ યોજનાઓ અને સેવાઓ વધુ સુગમ રીતે ઉપલબ્ધ થશે.
આ આધુનિક બિલ્ડિંગમાં વહીવટી સરળતા માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ઓફિસ, સ્ટોર રૂમ બનાવાયાં છે. આ જ પ્રકારે પ્રથમ માળે અર્બન કમ્યુનિટી ડેવલોપમેન્ટ (UCD) વિભાગની ઓફિસ, કોન્ફરન્સ હોલ તેમજ મુલાકાતીઓ અને સ્ટાફ માટે જરૂરી પર્યાપ્ત સુવિધાઓ પણ કરવામાં આવી છે.
આ લોકાર્પણ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સંસદસભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી રમ્ય ભટ્ટ સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

