ડીસા શહેરના જલારામ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક અને અતિક્રમણની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. મામલતદાર કચેરી નજીકના જાહેર માર્ગ પર ખાનગી વાહનોનો ખડકલો કરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર ખાનગી વાહનોના આડેધડ પાર્કિંગને કારણે રસ્તો સાંકડો બની ગયો છે. ખાસ કરીને શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને આ અવરોધોને કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વધુમાં, રોડ પર આવેલા દુકાનદારોએ પણ પોતાની જાહેરાતોના બોર્ડ જાહેર માર્ગ પર લગાવી દેતા રાહદારીઓને ચાલવાની જગ્યા પણ બચી નથી.
જેને લઈ વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અને દબાણોના રાફડાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલતદાર કચેરી જેવી મહત્વની સરકારી કચેરી પાસે જ આવી અરાજકતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોની સુવિધા માટે આ દબાણો તાકીદે દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

