(જી.એન.એસ) તા. ૧
વલસાડ,
હાલ ના સમયે ખાડી દેશોમાં હાલમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે વતનથી દૂર પરદેશમાં ફસાયેલા લોકોને સુરક્ષિત પરત લાવવા માટે એક વિશેષ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના અનેક લોકો રોજગારી અર્થે ખાડી દેશોમાં સ્થાયી થયા છે, ત્યારે યુદ્ધના માહોલમાં તેમના પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં સાંસદની આ પહેલથી અસરગ્રસ્ત પરિવારોમાં આશાનું કિરણ જાગ્યું છે.
સાંસદ ધવલ પટેલે જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે, જો કોઈ પણ વ્યક્તિ ખાડી દેશમાં ફસાયું હોય અથવા મુશ્કેલીમાં હોય, તો તેઓ અથવા તેમના પરિવારો તાત્કાલિક આ હેલ્પલાઇનનો લાભ લઈ શકે છે. અત્યાર સુધીમાં અંદાજે 47 જેટલા લોકોએ આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને મદદની માંગ કરી છે. સાંસદે રૂબરૂ મુલાકાત કરનારા અને ફોન પર મદદ માંગનારા તમામ લોકોને સાંત્વના આપતા ખાતરી આપી છે કે ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને દરેક નાગરિકને સુરક્ષિત પરત લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.
આ હેલ્પલાઇન માત્ર માહિતી મેળવવા પૂરતી સીમિત નથી, પરંતુ જરૂરિયાત મુજબ ફસાયેલા લોકોના લોકેશન અને વિગતો એકત્રિત કરી તેને ઉચ્ચ સ્તરે પહોંચાડવાનું કામ પણ કરી રહી છે. યુદ્ધ જેવી કટોકટીમાં સાંસદની આ ત્વરિત કામગીરીની સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. વહીવટી તંત્ર અને સાંસદની ટીમ સતત આ મામલે સતર્ક છે જેથી મુશ્કેલીમાં મુકાયેલા દક્ષિણ ગુજરાતના શ્રમિકો અને પરિવારોને વહેલી તકે વતન પરત લાવી શકાય.

