બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાં ફરી એક વખત ગંભીર બેદરકારી સામે આવી છે. દાંતીવાડા ડેમના ગેટ નજીક આવેલી મુખ્ય કેનાલમાં અંદાજિત 40 મીટરથી મોટું ગાબડું પડતાં હજારો લિટર પાણી બનાસ નદીમાં વહી ગયું છે.
માહિતી મુજબ કેનાલ તૂટી જતાં આશરે 1000 ક્યુસેક પાણીનો ફ્લો બનાસ નદી તરફ વળી ગયો છે. અચાનક પાણીનો પ્રવાહ વધતા આસપાસના ગામોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ગાબડું પડતાની સાથે જ વિસ્તારના લોકોના જીવ પડી કે બંધાયા હતા. ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરી છે. ભારે મશીનરી અને રેતના બેગ દ્વારા તાત્કાલિક ઉપાય કરવાના પ્રયાસો ચાલુ છે.
દર વર્ષે કેનાલ અને ડેમના ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ થાય છે, છતાં આવી ગંભીર બેદરકારી સામે આવતાં અનેક સવાલો ઉભા થયા છે. જો નિયમિત જાળવણી કરવામાં આવતી હોય તો આ પ્રકારની ઘટના કેમ બની?હાલ લોકોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડેમનું જોખમી રીતે વહી રહેલું પાણી ક્યારે બંધ થશે અને કેનાલમાં પડેલું ગાબડું ક્યારે પૂરાશે? સ્થાનિક લોકો તંત્ર પાસેથી તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.

