મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા એક પરિવારની વૃદ્ધા સાથે મુસાફરી દરમિયાન ચોરીની ઘટના બની છે. વતન કંબોઈ ખાતે ધાર્મિક પ્રસંગમાં જવા નીકળેલા મધુબેન જોષીના થેલાને કોઈ અજાણ્યા શખ્સે કાપી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલું પાકીટ સેરવી લીધું હતું. આ મામલે તેમના પુત્ર અનંતકુમાર જોષીએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વૃદ્ધએ ઘરે જઈને તપાસ કરતા ચોરીની જાણ થઈ ઘટનાની વિગતો મુજબ, 29 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે મધુબેન પોતાના ઘરેથી કપડાં અને દાગીના ભરેલો થેલો લઈ વતનમાં જવા નીકળ્યા હતા. તેઓ મોઢેરા ચોકડીથી રિક્ષામાં બેસી રાધનપુર ચોકડી પહોંચ્યા હતા અને ત્યાંથી ખાનગી વાહન દ્વારા ચાણસ્મા થઈ કંબોઈ ગયા હતા. વતનમાં ઘરે પહોંચીને તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેમના થેલા પર કાપો મારેલો હતો અને અંદર રાખેલું કિંમતી પાકીટ ગાયબ હતું.
દાગીના સહિતની ચોરી થતાં ફરિયાદ નોંધાવી પાકીટમાં આશરે દોઢ તોલા સોનાની બે બંગડીઓ અને એક કંઠી કિંમત 1,80,000, 200 ગ્રામ ચાંદીની સેરો કિંમત 40,000 તથા 1000 રૂપિયાની રોકડ રકમ હતી. આમ કુલ 2,21,000ની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં પ્રસંગ હોવાથી અને પોલીસમાં રહેલા સંબંધીઓ દ્વારા તપાસ ચાલુ હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો. અંતે કોઈ ભાળ ન મળતા અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

