શહેરમાં રખડતા પશુઓના વધતા જતા ત્રાસને ડામવા માટે ડીસા નગરપાલિકા દ્વારા હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જાહેર માર્ગો પર ઘાસચારો વેચતા લોકોના કારણે પશુઓનો જમાવડો થતો હોવાથી, પાલિકાએ આવા વેચાણકર્તાઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.ડીસા શહેરના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર મોટા પાયે લીલા ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું છે. આ ઘાસચારો ખાવા માટે રખડતા પશુઓ રસ્તાની વચ્ચે જ ઉભા રહે છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતની સમસ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાત્રિ દરમિયાન રખડતા પશુઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સવારના સમયે જાહેર માર્ગો પર બેસીને લીલો ઘાસચારો વેચતા લોકોનું વેચાણ બંધ કરાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.
તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે જો કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગો કે ફૂટપાથ પર ઘાસચારો વેચતા ઝડપાશે, તો તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.આ બાબતે પાલિકા સેનિટેશન વિભાગ ના કર્મચારી દેવરામભાઇ માળી એ ડીસા નગરપાલિકાએ શહેરની જનતાને પણ સહકાર આપવા અપીલ કરી છે. પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવાથી તેઓ ત્યાં જ અડિંગો જમાવે છે, જે જાહેર સલામતી માટે જોખમી છે. નાગરિકોએ જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવાનું ટાળવું જોઈએ.”

