પદયાત્રાની પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં’ : DYSP
જાતિના દાખલા નહીં મળે ત્યાં સુધી પીછે હઠ નહીં કરીએ : MLA ખરાડી
સિદ્ધપુર પોલીસે કાકોશી ચાર રસ્તા પાસે મંજૂરીના અભાવે દાતા એમએલએની પદયાત્રાને અટકાવતા કાણોદરમાં ધરણાં યોજી જાતિના દાખલા નહીં મળે ત્યાં સુધી પીછે હઠ નહીં કરીએ તેઓ હંકાર MLA ખરાડી એ કર્યો હતો. જાતિના દાખલાની સમસ્યાને લઇને દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં ગઇકાલે પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી આદિવાસી સમાજની પદયાત્રામાં હવે નવો વળાંક આવ્યો છે.મંજૂરી વગર પદયાત્રા કાઢતાં પાલનપુર તાલુકા પોલીસે મધરાતે જ MLA કાંતિ ખરાડી સહિત 50 લોકોની અટકાયત કરી હતી, જોકે તેમને વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યા હતા.એ બાદ આજે સિદ્ધપુરમાં પણ યાત્રાને અટકાવવામાં આવતાં કોંગી નેતાઓ અને આદિવાસી આગેવાનો ફરીથી કાણોદર જઇને ધરણાં પર બેઠા હતા.પાલનપુર પોલીસે આદિવાસી આગેવાનોને છોડી મૂકતાં MLA કાંતિ ખરાડી સિદ્ધપુર પહોંચ્યા હતા, જોકે અહીં પણ મંજૂરીના અભાવે સિદ્ધપુર પોલીસે કાકોશી ચાર રસ્તા પાસે આ યાત્રાને અટકાવી હતી. DySP કે.કે. પંડયાએ પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં કહેતાં આદિવાસી આગેવાનો અને પોલીસ વચ્ચે સામાન્ય રકઝક થતાં મામલો ગરમાયો હતો.
પોલીસતંત્રના જણાવ્યા અનુસાર, આ પદયાત્રા યોજવા માટે આયોજકો દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી લેવામાં આવી નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ હેતુથી પોલીસે મંજૂરી વગર શરૂ થતી આ પદયાત્રાને કાકોશી ચાર રસ્તા પાસે જ અટકાવી દીધી હતી. બીજી તરફ આદિવાસી આગેવાનો પોતાની માગણીઓ પર મક્કમ જોવા મળ્યા હતા. એ બાદ કોંગી નેતાઓ અને આદિવાસી આગેવાનો ફરીથી કાણોદર જઇ ધરણાં પર બેઠા છે, અને જ્યાં સુધી પોલીસ પદયાત્રાની મંજૂરી નહીં આપે ત્યાં સુધી કાણોદર માં ધરણાં કરવાની કાંતિ ખરાડીએ ચીમકી ઉચ્ચારી છે. તો સમગ્ર મામલે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું છે.
અમારો ભાજપને સવાલ છે કે તમે શરૂઆત નથી કરી, કોંગ્રેસના શાસનમાં પણ દાખલા મળતા હતા, એ તેમનો હક છે. તમે રાત્રે દોઢ વાગ્યે ટીંગાટોળી કરીને આદિવાસીઓને હેરાન કેમ કરો છો? તમારે રોકવા હતા તો ગઇકાલે બપોરે જ રોકી લેવા હતા. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રે ભાજપના ઇશારે પોલીસ દબંગગીરી કરે છે, આજે અમારા સિદ્ધપુર વિસ્તારમાં આદિવાસી સમાજની પદયાત્રા છે. આ પદયાત્રાને અમારો ફુલ સ્પોર્ટ છે. અમે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આ યાત્રામાં જોડાઇશું અને ગાંધીનગર સુધી પણ હક માટે લડીશું. પોલીસ જો પરમિશન નહીં આપે તો પણ અમે આ યાત્રા કાઢીશું જ કોંગ્રેસ ગાંધીના માર્ગે ચાલનારી પાર્ટી છે, કોઇની દાદાગીરી સાંખી લેવામાં નહીં આવે તેવું ચંદનજી એ જણાવ્યું હતું.

