સુરતના બારડોલીમાં 10થી વધુ ભંગારના ગોડાઉનમાં આગ
15થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે, કોઈ જાનહાનિ નહીં
(જી.એન.એસ),તા.૧૫
સુરત
બારડોલી ધુલીયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આજે (15 ડિસેમ્બર) ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગની આ ઘટનામાં 10થી વધુ ગોડાઉનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. પ્લાસ્ટિકના ગોડાઉનોમાં આગ લાગવાના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતા જોતા પ્રાંત અધિકારી દ્વારા આ ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. સુરત જિલ્લા ફાયર ઓફિસર પી. બી. ગઢવીએ જણાવ્યું હતું કે,”અંદાજે રાત્રે 2થી 2:30 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ધૂમાડાના મોટા ગોટેગોટા 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે”.
ગોડાઉનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 15થી વધુ ફાયર ફાઈટર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. બારડોલી, કામરેજ, વ્યારા, પી.ઈ.પી.એલ. (PEPL), અને હોજીવાલા સહિતની વિવિધ સ્થળોની ફાયર ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો કરી રહી છે. પ્લાસ્ટિકના કારણે આગને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આગને કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી ગોડાઉન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને તેની તપાસ ચાલી રહી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.

