વારાહી કોર્ટ દ્વારા 20 વર્ષ જૂના છેતરપિંડીના કેસમાં આરોપીને 3 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો

વારાહી કોર્ટ દ્વારા 20 વર્ષ જૂના છેતરપિંડીના કેસમાં આરોપીને 3 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો

સાંતલપુર તાલુકાની વારાહી કોર્ટેના મુખ્ય સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સંજય ચૌધરીની કોર્ટે 20 વર્ષ જૂના છેતરપિંડીના કેસના આરોપી પ્રફુલ્લકુમાર બાબુલાલ ઠક્કર (રહે. થરા, તા. કાંકરેજ) ને IPC કલમ 420 હેઠળ ઠગાઈના ગુનામાં દોષિત ઠેરવી 3 વર્ષની સાદી કેદ અને રૂ. 10,000 દંડની સજા ફટકારી હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.કોર્ટે આદેશ કર્યો છે કે જો આરોપી દંડ ન ભરે તો તેને વધુ બે માસની કેદ ભોગવવી પડશે.જોકે,IPC કલમ 406 (વિશ્વાસઘાત) ના ગુનામાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આરોપીનો ઈરાદો શરૂઆતથી જ ઠગાઈ કરવાનો હતો.આ કેસની વિગત મુજબ, જુલાઈ 2002માં વારાહી સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.રાઘવેન્દ્ર બહાદુરસિંહ પાસે આરોપી પ્રફુલ્લકુમાર બાબુલાલ ઠક્કર આવ્યા હતા.

આરોપીએ પોતાને ‘ફ્યુચર વિઝન કંપની’ અને એલ.આઈ.સી.ના એજન્ટ તરીકે ઓળખાવ્યો હતો.આરોપીએ ડોક્ટરને લોભામણી લાલચ આપી હતી કે સ્કીમમાં સભ્યો બનાવવા અને રૂ. 12,000 નું રોકાણ કરવાથી ગિફ્ટ તેમજ રૂ. 2,65,000 નું વ્હીકલ વાઉચર મળશે. આરોપીની વાતોમાં આવીને ફરિયાદી ડોક્ટરે રૂ. 39,000 નું રોકાણ કર્યું હતું.આ ઉપરાંત, આરોપીએ સાહેદો જયંતિભાઈ અને પરષોત્તમભાઈ તેમજ તેમના ભાગીદારો પાસેથી પણ અલગ અલગ રકમનું રોકાણ કરાવી કુલ રૂ. 4,14,000 જેવી માતબર રકમ ઉઘરાવી લીધી હતી. બાદમાં કંપની બંધ થઈ ગઈ હતી અને રોકાણકારોને તેમની મૂડી કે વળતર મળ્યું ન હતું.વારાહી કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ફરિયાદી અને સાહેદોને મોટી રકમના વળતરની લાલચ આપી હતી અને રસીદોમાં સહી કરવાનું ટાળીને પોતાની જવાબદારી માંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.જે તેનો ગુનાહિત ઈરાદો સાબિત કરે છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *