ઇન્ડિગો એરલાઇન્સે છેલ્લા 4 દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ કરીને મુસાફરોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પરંતુ આવું પહેલીવાર બન્યું નથી. લોકલસર્કલ્સના સર્વે મુજબ, છેલ્લા એક વર્ષમાં આ કંપની વિરુદ્ધની ફરિયાદોમાં 63% નો વધારો થયો છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે ઇન્ડિગોથી મુસાફરી કરનારા 54% મુસાફરોએ ફ્લાઇટમાં મોડું થવાથી અને સ્ટાફના ખરાબ વર્તનની ફરિયાદો કરી છે. દેશના એરલાઇન માર્કેટમાં ઇન્ડિગોનો હિસ્સો 60% છે. સર્વેમાં મુસાફરોએ છેલ્લા 12 મહિનામાં ફ્લાઇટ રદ થવી, મોડી પડવી અને સેવા સંબંધિત સમસ્યાઓની સૌથી વધુ ફરિયાદો કરી છે. એટલું જ નહીં, પાઇલટ અને ક્રૂની અછતને કારણે કંપનીને માત્ર નવેમ્બર મહિનામાં 1,232 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.
સ્ટાફના વર્તનની સૌથી વધુ ફરિયાદો; લોકલસર્કલ્સના સર્વેમાં મુસાફરોને 15 સમસ્યાઓ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. તેમાં 15,938 મુસાફરોએ 15 મુદ્દાઓમાંથી એકથી વધુ સમસ્યાઓની ફરિયાદ કરી હતી. 54% લોકોએ ફ્લાઇટ સમયસર ન ઊડવાને મોટી સમસ્યા ગણાવી હતી. આ સાથે 54% લોકોએ સ્ટાફના વર્તનની ફરિયાદ કરી હતી. 45% મુસાફરોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને માહિતી મોડી અથવા અધૂરી આપવામાં આવી હતી. 42% લોકોએ સામાન સંભાળવાની ફરિયાદ કરી હતી. 32% લોકોએ ગ્રાહક સેવા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.


