BSFના પૂર્વ ક્રોકોડાઈલ કમાન્ડો સહિત અનેક રોકાણકારો પાસે પોન્જી સ્કીમમાં 80 લાખથી વધુનું રોકાણ કરાવી ઠગાઈ
(જી.એન.એસ),તા.૨૧
ગાંધીનગર
હિંમતનગર ખાતે આવેલી AR કેપિટલ સર્વિસીસ અને AR કન્સલ્ટન્સી નામની કંપનીઓના ડાયરેક્ટર અને ભાગીદારો વિરુદ્ધ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ ગાંધીનગર રેન્જ સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. BSFના પૂર્વ ક્રોકોડાઈલ કમાન્ડો સહિત અનેક રોકાણકારો પાસે પોન્જી સ્કીમમાં રોકાણ કરાવી 80 લાખથી વધુની ઠગાઈ આચરી ડાયરેક્ટરોએ કંપની બંધ કરી દેતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના પૂર્વ ક્રોકોડાયલ કમાન્ડો સંજયસિંહ કલાભાઈ રાવત પ્રથમ સ્કેવર, સહકારી જીન રોડ, હિંમતનગર ખાતે સ્નેપ ગાર્ડ સિક્યુરીટી સર્વિસ LLP એજન્સી ચલાવે છે. તેમની ઓફિસના ત્રીજા માળે AR કેપિટલ સર્વિસિસ તથા AR કન્સલટન્સી આવેલી હતી, જ્યાં ડાયરેક્ટર તરીકે અજયસિંહ રજુસિંહ મકવાણા તથા ભાગીદાર તરીકે તેના પિતા રજુસિંહ લાલસિંહ મકવાણા તેમજ વનરાજસિંહ દિલીપસિંહ ઝાલા AR નામથી પોન્ઝી સ્કીમ ચલાવતા હતા. માર્ચ 2024માં સંજયસિંહને અજયસિંહ રજુસિંહ મકવાણાએ લોભામણી સ્કીમ અને ઊંચા વ્યાજની લાલચ આપી માસિક 1% લેખે કમિશન આપવાની વાત કરી હતી.
અજયસિંહ મકવાણાએ તેમને લાલચ આપી કે, કંપનીની સ્કીમમાં રોકાણ કરશે, તો કંપની માસિક 1%થી 1.5% જેટલું વ્યાજ-વળતર આપશે. ચેકથી રોકાણ કરવા પર દર મહિનાની 7મી તારીખ સુધીમાં વળતર મળશે. જ્યારે રોકડમાં રોકાણ કરવા પર દર મહિનાની 15મી તારીખ સુધીમાં ઓફિસથી રોકડ ચૂકવણું મળશે. ઉપરાંત રોકાણકારોને માસિક 1% કમિશન તેમજ પાકતી મુદતે રોકાણની સાથે ભેંટ સ્વરૂપે સિક્કા આપવાની લાલચ આપવામાં આવી હતી. આથી સૌ પ્રથમ સંજયસિંહે ત્યારબાદ અન્ય રોકાણકારોએ જાન્યુઆરી-2054થી માર્ચ-2025 સુધીમાં જુદા-જુદા તબક્કે કુલ 80 લાખથી વધુનું અલગ-અલગ સ્કીમોમાં રોકાણ કર્યું હતું. શરૂઆતમાં કંપની દ્વારા રોકાણ મુજબ વ્યાજ/વળતર નિયમિત ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ ફેબ્રુઆરી, 2025થી બધા રોકાણકારોને વળતર મળવાનું બંધ થઈ ગયું હતું. જે અંગે મેવારામ ગુર્જરે કંપનીના ડાયરેક્ટર અજયસિંહ મકવાણાનો સંપર્ક કર્યો, ત્યારે તેણે કંપનીને હાલ નાણાકીય તંગી હોવાનું કહી મહિનામાં બધી રકમ ચૂકવી દેવાની ખાત્રી આપી હતી. જો,કે બાદમાં નાણાં પરત કરવાને બદલે આરોપીઓએ ધમકી આપી હતી કે, જો તમે અમારી કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશો તો અમે તમને એક પણ રૂપિયો પરત આપીશું નહીં. ત્યારબાદ ડાયરેક્ટર અજયસિંહ મકવાણા તેની ઓફિસ તેમજ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. મેવારામને પાછળથી જાણવા મળ્યું હતું કે, ડાયરેક્ટર અજયસિંહ મકવાણા, રજુલસિંહ મકવાણા અને રાજવીરસિંહ દિલીપસિંહ રાઠોડએ ભેરવી સિક્યુરિટીઝ અને ભેરવી એન્ટરપ્રાઇઝ નામની અન્ય પેઢીઓ દ્વારા પણ રોકાણકારોને આવી જ લોભામણી સ્કીમ આપીને છેતર્યા છે. આ અંગે ગાંધીનગર રેન્જ સીઆઈડી ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

