પાલનપુર; પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેનનો તેમના વોર્ડમાં જ વિરોધ ખખડધજ રોડને લઈ ત્રાહિમામ

પાલનપુર; પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેનનો તેમના વોર્ડમાં જ વિરોધ ખખડધજ રોડને લઈ ત્રાહિમામ

પાલનપુરના બેચરપુરાથી ગઠામણ પાટિયા સુધીનો રોડ બિસ્માર

સ્થાનિક નગરસેવકોને જાકારો આપવાની ચીમકી; પાલનપુર શહેરમાં વિકાસના નામે સૌથી વધુ રોડ રસ્તા બન્યા છે. પરંતુ આજે એક પણ રોડ રસ્તો સારો જોવા મળતો નથી. ત્યારે ખુદ નગરપાલિકાના બાંધકામ કમિટીના ચેરમેનના વોર્ડમાં જ રોડની દુર્દશાને લઈને લોકોએ ઉભરો ઠાલવતા બાંધકામ કમિટી ના ચેરમેનને શરમજનક ગણાવી સ્થાનિક નગરસેવકોને જાકારો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

પાલનપુરના બેચરપુરા,લક્ષ્મીપુરા, રામજી નગર, અને ગઠામણ પાટીયાને જોડતો માર્ગ હાલમાં ખૂબ ભંગાર હાલતમાં છે. છેલ્લા આઠેક મહિનાથી આ રોડ પર વાહનની તો વાત છોડો પણ રાહદારીઓને પણ ચાલવું મુશ્કેલ બન્યું છે. આ રોડ પર તિરુપતિ, રાધેક્રિષ્ના પાર્ટી પ્લોટ, નંદવિહાર, સીટી ગોલ્ડ, કૈલાશનગર,રામજી નગર, શિવ ગંગા સહિત 20 થી વધુ સોસાયટીઓ આવેલી છે. જ્યાં 3000 થી વધુ લોકો  વસવાટ કરે છે. ત્યારે આ રોડ ની ખૂબ જ ખરાબ હાલત છે. વધુ પડતી માટી માર્ગ પર હોવાથી એક્ટિવા જેવા બે પૈડાં ના સાધનો લઈને પસાર થવું પણ જોખમી સાબિત થઈ રહ્યું હોવાનું જયેશભાઇ પટેલ અને જીતુભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું.

છેલ્લા આઠ મહિનાથી રોડની બદતર  હાલત ને લઈને પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ આવ્યો નથી. આ રોડ પરથી સિનિયર સિટીઝનોને પણ પસાર થવું જોખમી બન્યું હોવાનું સિનિયર સીટીઝન મુકેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું. જોકે, બાંધકામ કમિટીના ચેરમેન દિલીપભાઈ પટેલના પોતાના વોર્ડમાં જ રોડ રસ્તાની હાલત ભંગાર હોઇ સ્થાનિકોએ તેને શરમજનક ગણાવી પાલિકાને તાળાબંધી કરી ચારે નગરસેવકોને આગામી ચૂંટણીમાં જાકારો આપવાની ચીમકી કિશોર પુરોહિત સહિતના સ્થાનિકોએ ઉચ્ચારી હતી. આમ, બાંધકામ કમિટીના ચેરમેનના પાપે ચારે ભાજપના નગરસેવકો સામે લોકોમાં વધતો જતો આક્રોશ ભાજપને ભારે પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *