રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે રાહત અને બચાવની સઘન કામગીરી હાથ ધરાઇ:- પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ


(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદની પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

જેના ભાગરૂપે અસરગ્રસ્ત જિલ્લાઓના ડિસ્ટ્રીક ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને તાત્કાલિક માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત SDRF અને NDRFની ટીમોને એડવાન્સમાં તૈયાર કરવામાં આવી હતી તેમજ મેન, મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટની પણ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના જે વિસ્તારમાં વરસાદની આગાહી વધુ હતી, ત્યાં નાગરિકોને સાવચેતીના ભાગરૂપે SMSથી જાણ પણ કરવામાં આવી હતી, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સતત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC સાથે ટેલિફોનિક સંવાદ દ્વારા વરસાદના ડેટા, બચાવની જરૂરિયાત, SDRF, NDRFની તૈનાતી અને ભારે વરસાદની પરિસ્થિતિ અંગે સતત માહિતી લઈને વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં તમામ કલેકટરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ ઉપરાંત મહેસુલ સચિવશ્રીએ પણ SEOCની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરશ્રીઓ સાથે ટેલિફોનિક સંવાદ કર્યો હતો.

તદુપરાંત બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદને કારણે સંચાર વ્યવસ્થા ખોરવાઈ જતા ટેકનિકલ સ્ટાફ સાથે ૭ હેમ રેડિયો સેટઅપ થરાદ ખાતે મોકલવામાં આવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.  

મંત્રી શ્રી પટેલે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં વરસાદી અસર બાદ રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે અસરગ્રસ્ત તાલુકાઓ જેવા કે, સુઈગામ, ભાભર, વાવ અને થરાદ ખાતેથી પોલીસ, વહીવટી તંત્ર, NDRF, SDRF અને હોમગાર્ડની સંયુક્ત ટીમો દ્વારા ૧,૬૭૮થી વધુ નાગરિકોનું સફળ રેસ્ક્યૂ અને સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

વિશિષ્ટ સ્થળાંતર કામગીરીના ભાગરૂપે વાવ તાલુકાના ભાટવર ગામે SDRFની ટીમ દ્વારા ૮થી૧૦ ફૂટ ઊંડા પાણીમાંથી ૬૯ નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુઈગામ તાલુકાના ભરડવા, ભાટવરવાસ, તીર્થગામ સહિતના ગામોમાંથી પણ નાગરિકોનું રેસ્ક્યૂ કરાયું હતું, તેમ તેમણે જણાવ્યું હતું.

ખાદ્ય અને પાણી પુરવઠા વિશે વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ ૩ લાખ ફૂડ પેકેટ વિતરણ, કુલ ૩ લાખ પાણીની બોટલનું વિતરણ તેમજ થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં દર રોજ ૭ હજારથી વધુ નાગરિકોને ભોજન આપવામાં આવે છે.

વધુમાં, મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૩ ડી.વાય.એસ.પી, ૮ પી.આઈ. અને ૧૫૦ પોલીસ જવાનો નાગરિકોની સલામતી અંગે ફરજ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરિત નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનો, રહેવા, ખાવા, પીવાના પાણી અને તબીબી સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, UGVCLની ૮૬ ટીમો દ્વારા સતત કામગીરીના પરિણામે અસરગ્રસ્ત જિલ્લાના ૨૯૭ ગામડાઓમાંથી ૧૯૦ ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, તેમજ બાકીના ગામડાઓમાં પણ પુનઃસ્થાપન માટે કામગીરી ચાલી રહી છે.

તબીબી અને આરોગ્ય સેવાઓ વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે, સુઈગામ C.H.C. ખાતે કલેક્ટરશ્રીએ રૂબરૂ મુલાકાત કરી મહિલાઓ, બાળકો અને અસરગ્રસ્તો સાથે સંવાદ કરી આરોગ્ય સુવિધાની ખાતરી આપી હતી. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વહીવટી તંત્ર સાથે બેઠક કરી હતી તથા ટ્રેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને વિતરણ અને સેવા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી હતી.

આ ઉપરાંત બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા ૧૯ જિલ્લા કક્ષાની સમિતિઓ, ૧૩ નોડલ અધિકારીઓ તથા મોનિટરિંગ માટે ૫ અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જોધપુર એરફોર્સ હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર – જરૂર પડે ત્યારે ઉપયોગ માટે તૈયાર રાખવામાં આવ્યું છે.

પાટણ જિલ્લામાં વધુ વરસાદના પગલે રાહત અને બચાવની કામગીરી અંગે વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, SDRF અને ફાયર ટીમ દ્વારા સાંતલપુરના કલ્યાણપુરા ગામે ૮ નાગરિકો, વૌવા ગામે ૩૫ નાગરિકો તથા પર ગામે ૧૫ નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ૫,૦૦૦ ફૂડ પેકેટ, રેડક્રોસ સોસાયટી દ્વારા વૌવા ગામે ૧૫૦ તાડપત્રી અને વાસણોની કિટ વિતરણ તેમજ જનરેટર તથા અન્ય જરૂરી સામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વીજ પુરવઠાના પુનઃસ્થાપન વિશે મંત્રીશ્રીએ કહ્યું કે, સાંતલપુર તાલુકાના ૮૦ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી ૭૦ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાધનપુર તાલુકાના ૧૩૨ ગામોમાંથી ૧૨૭ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપન થઇ ચૂક્યો છે. તેમજ બાકીના ગામોમાં ટૂંક સમયમાં વીજ પુરવઠો પુનઃસ્થાપન કરાશે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યૂ કરવામાં આવેલા નાગરિકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રાધનપુર નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા દવાનો છંટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

મંત્રીશ્રી પટેલે કહ્યું કે, જિલ્લાના કુલ બંધ થયેલા ૩૯ રસ્તાઓમાંથી ૧૩ રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવ્યા છે અને બાકીના રસ્તાઓના મરામતની કામગીરી કાર્યરત છે. વધુમાં, કલેક્ટરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત સંપૂર્ણ વહીવટી ટીમ ખડેપગે સતત દેખરેખ રાખી રહી છે.

કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વિશે વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદના પગલે કચ્છ જિલ્લાના રાપર, ભચાઉ, નખત્રાણા, અબડાસા સહિતના તાલુકાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે.

જેથી નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને રાપર તાલુકાના માનગઢ ગામના ૨૦ નાગરિકોનું સ્થળાંતર, મેવાસા ડેમ પાણી ફરી વળતાં ગાગોદર નજીક ખેતરમાં ફસાયેલા ૪ મજૂરોનું SDRF દ્વારા ૮ કલાકના ઓપરેશન બાદ રેસ્ક્યૂ, રબારી સમાજના ૨૦ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા લાઈવ રેસ્ક્યૂ સાધનો જેવી કે બોટ, લાઈફ જેકેટ, કટર સાથે ૧ NDRFની તથા ૧ SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે પીડિત વિસ્તારોમાં ખાદ્ય પેકેટ અને સૂકો નાસ્તો વિતરણ, તાત્કાલિક ભોજન વ્યવસ્થાની માટે શેલ્ટર હોમમાં રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં ૧,૧૦૫ મિલીમીટર વરસાદ પડ્યો છે, જેના કારણે વીજ નેટવર્કને ગંભીર અસર થઈ છે. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા ૨૫૩ અસરગ્રસ્ત ગામોમાંથી ૨૫૧ ગામોમાં વિજળી પુનઃસ્થાપિત થઈ ગઈ છે. આ ઉપરાંત ૩૯૬ ફીડર્સ અસરગ્રસ્ત હતા, તેમાંથી ૨૪૭ ફીડર્સ તેમજ ૧૦૬ વીજથાંભલાઓને પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા નાગરિકોને નદી, નાળા, ડેમ, જળાશયોથી દૂર રહેવા, જોખમી માર્ગો, બંધ, કોઝ વે ઉપર ન જવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકો માટે કંટ્રોલ રૂમ ૨૪x૭ કાર્યરત કરવામાં આવ્યો છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *