ગણેશ ભકતોએ શ્રી ની પ્રતિમાનું પુજન – અચૅન કરી ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ વચ્ચે સ્થાપન કર્યું; પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. મંગળવારે રાત્રે અને બુધવારે વહેલી સવારથી ભક્તોએ પોતાના ઘરોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી હતી. માટીની મૂર્તિઓની ખરીદી માટે શહેરના ઓતિયા પરિવારની દુકાનો અને લારીઓ પર શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો.
ભક્તો અબીલ-ગુલાલની છોળો વચ્ચે રીક્ષા, લારી, ઊંટ લારી, ટ્રેક્ટર અને બાઈક પર વાજતે-ગાજતે મૂર્તિઓને ઘરે લઈ ગયા હતા. શહેરની મલ્હાર સોસાયટી,ભઠ્ઠીનો માઢ, પનાગરવાડો,નગર લીબડી, કસારવાડો,ઉંચીશેરી, પદ્મપાકૅ સોસાયટી,ધરતી સોસાયટી સહિતના વિસ્તારોમાં ગણેશ ભકતો દ્રારા શ્રી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી.
શહેરના વિવિધ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા. ચિંતામણી ગણપતિ મંદિરમાં સમૂહ નૈવેદ્ય અને આરતી કરાઈ હતી. સિદ્ધિ વિનાયક મંદિરમાં મંગળા આરતી અને શણગાર સાથે શ્રી ની આરતી કરવામાં આવી હતી. શહેરના હિંગળાચાચર નજીકના પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા.બજારોમાં રૂ. ૫૦ થી રૂ. ૩૦૦૦ સુધીની કિંમતની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ થયું હતું.તો પર્યાવરણ પ્રત્યે જાગૃતિના કારણે મોટાભાગના લોકોએ માટીની મૂર્તિઓ ખરીદી હતી. પંડાલ સજાવટની વસ્તુઓ,પ્રસાદી અને ફૂલોનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું.
પાલિકા બજાર સંકુલના વેપારીઓ અને યુવાનોએ ‘રાજમહેલ કા રાજા’ ગણપતિની ડીજેના તાલે શોભાયાત્રા કાઢી વિધિવત તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પાટણ મામલતદાર કચેરીના ગણેશ મંદિરમાં રજનીશભાઈ દરજી અને તેમના ધર્મપત્ની ના યજમાન પદે હવન યોજાયો હતો આ પ્રસંગે મામલતદાર કચેરી સ્ટાફ સહિત ગણેશ ભકતોએ ઉપસ્થિત રહી દશૅન- પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આમ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થી ના પાવન દિવસે ગણેશ ઉત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

