અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે, ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરતા દેખાય છે. આ દરમિયાન, હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની મુલાકાતે જવાના છે. નોંધનીય છે કે વર્ષ 2020 માં ગાલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પછી પીએમ મોદી પહેલી વાર ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. હવે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પીએમ મોદીની જાપાન અને ચીનની મુલાકાતની તારીખો જાહેર કરવામાં આવી છે. પીએમ મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી જાપાન અને ચીનની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટે જાપાનના બે દિવસના પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે પીએમ મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે અને અહીં 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. પીએમ તરીકે મોદીની જાપાનની આ 8મી મુલાકાત હશે. પીએમ મોદી અને જાપાનના પીએમ શિગેરુ ઇશિબા બંને દેશો વચ્ચેની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે. આ સાથે, બંને નેતાઓ સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, ટેકનોલોજી અને નવીનતા જેવા ક્ષેત્રોમાં સહયોગ અને પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનથી ચીન જવા રવાના થશે. પીએમ મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 સુધી ચીનના પ્રવાસે રહેશે. તેઓ 1 સપ્ટેમ્બરના રોજ ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે- “સમિટ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદી અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી શક્યતા છે.”

