કલેકટર મિહિર પટેલની અપીલ : સાંસ્કૃતિક વારસાના જતન સાથે ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવીએ
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયના ૨૯ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫(પાંચ) આશ્વાસનની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થનાર છે. સાંસ્કૃતિક વારસાના જતન માટે સરકાર તરફથી શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫નું આયોજન કરાશે. જે અંતર્ગત શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રથમ ક્રમાંકને રૂ. ૫ લાખ, દ્રિતીય ક્રમાંકને રૂ. ૩ લાખ તથા તૃતીય ક્રમાંકને રૂ. ૧.૫૦ લાખ ઈનામ રૂપે રોકડ પુરસ્કાર અપાશે. આ સાથે અન્ય પાંચ પંડાલોને પણ રૂ. ૧ લાખાનું પ્રોત્સાહક ઇનામ અપાશે.
બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ પંડાલ આયોજકોને આ સ્પર્ધાઓમાં ભાગ લેવા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરાયો છે. આ સાથે કલેકટરશ્રીએ ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક ઉજવણી સાથે પર્યાવરણના જતન માટે માટીની મૂર્તિનો ઉપયોગ કરવા જણાવ્યું છે. પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિનો ઉપયોગ ના કરવા જણાવ્યું છે. આ સાથે ગણેશ પંડાલ માટે મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી( ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિન્દૂર, દેશ ભક્તિ, સ્વદેશી થીમ આધારે પ્રાધાન્ય અપાશે.
આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેના ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પાલનપુર ખાતે જમા કરાવવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રીતેશ સોની, મો. ૯૯૭૪૬૪૨૨૯૧ સંપર્ક કરવાનો રહેશે.

