ધારપુર કેમ્પસમાં દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા નવા વિશ્રામગૃહ રેનબસેરાનું ખાતમુહૂર્ત કરાયું

ધારપુર કેમ્પસમાં દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા નવા વિશ્રામગૃહ રેનબસેરાનું ખાતમુહૂર્ત કરાયું

આ વિશ્રામ ગૃહથી હોસ્પિટલની સેવાઓમાં એક નવો અધ્યાય ઉમેરાશે : કલેકટર

પાટણની ધારપુર મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ના કેમ્પસમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે નવા વિશ્રામ ગૃહ રેન-બસેરાનું ખાતમુહૂર્ત બુધવારે જિલ્લા કલેકટર ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિશ્રામ ગૃહમાં દર્દીઓની સાથે આવતા સગા-સંબંધીઓને રહેવા તેમજ જમવાની સુવિધા સામાન્ય દરે ઉપલબ્ધ થશે. દૂરના ગામડાઓમાંથી આવતા લોકો માટે આ સુવિધા ખૂબ રાહતરૂપ બનશે.તેઓ દર્દીઓની સારવાર અને ઓપરેશન દરમિયાન તેમની સાથે રહી શકશે. આ વિશ્રામ ગૃહમાં સ્વચ્છતા અને સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

ધારપુર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પારુલબેન શર્માએ જણાવ્યું હતું કે આ નવી સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ખાવા-પીવાની વ્યવસ્થા હશે. એસી સાથે 120 લોકો એક સાથે જમી શકશે. પહેલા બે માળ પર ડોર્મેટરીની સુવિધા હશે. જેમાં 180 લોકો રહી શકશે. એક રૂમમાં બે લોકો રહી શકશે. દર્દીના સગાઓને રહેવા અને જમવાની સુવિધા નોમિનલ ચાર્જમાં મળશે. આ પ્રોજેક્ટ આગામી 6 થી 8 મહિનામાં તૈયાર થઈ જશે.

આ પ્રસંગે કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, “આ વિશ્રામ ગૃહથી હોસ્પિટલની સેવાઓમાં એક નવો અધ્યાય ઉમેરાશે અને તે દર્દીઓના સગા-સંબંધીઓની મુશ્કેલીઓ ઓછી કરશે અને તેમને યોગ્ય સુવિધા પૂરી પાડશે. આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, ડોક્ટર્સ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *