શહેરીજનોને પીવા માટે અપાતું પાણી દૂષિત બનતું અટકાવવા પાલિકા નકકર કામગીરી કરે; પાટણ શહેરમાં દશામાં વ્રતની પુણૉહૂતિ પ્રસંગે માતાજીની મૂર્તિ વિસર્જન માટે નગરપાલિકાએ કુંડ બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ આ વર્ષે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોએ પદમનાભ કેનાલથી ખાનસરોવર તરફ જતી પીવાના પાણીની કેનાલમાં મૂર્તિઓનું વિસર્જન કરવાની ફરજ પડી હતી.
જેને લઈને પાલિકા ના વિપક્ષના નગરસેવકો સહિત શહેર કોગ્રેસ પ્રમુખે નારાજગી વ્યક્ત કરી ભાજપ શાસિત નગરપાલિકાના સતાધીશો સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે દશામાં ની મૂર્તિઓમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થયો હોવાની સાથે અબીલ,ગુલાલ, કંકુ, ચુંદડી અને ફૂલહાર જેવી વસ્તુઓ પણ કેનાલમાં પધરાવવામાં આવી હોવાના કારણે પાટણના લોકોને મળતું પીવાનું પાણી કેમિકલયુક્ત અને ગંદુ બન્યું હોવાનું સોશિયલ મીડિયા દ્વારા જાણ નગરપાલિકાને થતાં પાલિકા દ્વારા આ તમામ મૂર્તિઓ કેનાલ માથી બહાર કાઢી લીધી હોવાનું કહ્યું હતું. પરંતુ બે દિવસ બાદ પણ કેનાલમાં ઘણી મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ આજે પણ જોવા મળી રહી છે.
ત્યારે પાટણ શહેરના કોંગ્રેસના કોર્પોરેટર આગેવાનોએ જાતે પાણીમાં ઉતરીને મૂર્તિઓ બહાર કાઢી. તેમણે પાટણની જનતાને શુદ્ધ પાણી મળી રહે તે માટે પ્રયાસો કર્યા હતા. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માગણી કરી છે કે પદ્મનાથ કેનાલથી સિદ્ધિસરોવર તરફ જતી કેનાલની તમામ ગંદકી અને કેમિકલયુક્ત મૂર્તિઓ સાફ કરીને તેને સ્વચ્છ કરવામાં આવે અને શહેરીજનોને શુધ્ધ પાણી પુરૂ પાડવામાં આવે તેવી માંગ તેઓ દ્રારા પાલિકાના ચીફ ઓફિસર ને કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

