સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી જ્યોતિષના નામે ઠગતા શખ્સને અમદાવાદ પોલીસે ઝડપી પાડયો

સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી જ્યોતિષના નામે ઠગતા શખ્સને અમદાવાદ પોલીસે ઝડપી પાડયો


(જી.એન.એસ) તા.2

અમદાવાદ,

શહેરની ખાડિયા પોલીસે એક વ્યક્તિને નકલી જ્યોતિષ બનીને લોકો સાથે છેતરપિંડી આચરતા ઝડપી પાડ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય વિનોદભાઈ ચેનારામ જોષી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે ઇન્સ્ટાગ્રામ પર નકલી જ્યોતિષી બનીને લોકોને છેતરતો હતો.

પ્રેમિકા સાથે લગ્ન કરવાના સપના જોઇ રહેલા યુવક સાથે ઓનલાઇન વિધી કરવાના નામે એઠ ઠગે યુવકને 6 લાખનો ચુનો લગાવ્યો હતો. યુવકે આ મામલે ફરિયાદ કરતા ખાડીયા પોલીસે બાપુનગરથી આ ઓનલાઇન ઠગ જ્યોતિષને ઝડપી પાડ્યો હતો.

ખાડિયા પોલીસે વિનોદ જોષી નામના જ્યોતિષ વિદ્યાના નામે ખાડીયા યુવક સાથે છેતરપીંડી કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે..આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં જ્યોતિષ તરીકે જાહેરાત આપીને યુવક સાથે ઠગાઈ કરી હતી. ઘટનાની વાત કરીએ તો ખાડીયા વિસ્તારમાં રહેતા યુવકને પ્રેમિકા સાથે લગ્ન કરવામાં અડચણો આવી રહી હતી. દરમિયાન 24 જૂન 2023ના રોજ ઇન્સ્ટાગ્રામમાં એક જાહેરાત વાંચી હતી જેમાં 24 કલાક માં તમારી અડચણોનું નિવારણ થશે તથા લગ્નની અડચણોને ધાર્મિક વિધિથી સમસ્યાનું નિરાકરણ આવશે તેમ જણાવાયું હતું,

જેથી યુવકે જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા આરોપી વિનોદ જોષીએ રજિસ્ટ્રેશનના નામે રૂ 1 હજાર પડાવ્યા હતા. ત્યાર બાદ લગ્નની અડચણો દૂર કરવા તાંત્રિક વિધિ અને ધાર્મિક વિધિના નામે ઓનલાઈન 6 લાખ પડાવ્યા હતા.

પ્રેમિકા સાથે લગ્ન ના થયા

પરંતુ યુવકના પ્રેમિકા સાથે લગ્ન નહિ થતા તેની સાથે છેતરપીંડી થઈ હોવાનો યુવકને અનુભવ થયો હતો જેથી યુવકે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી..પોલીસે ટેક્નિકલ એનાલિસિસની મદદથી બાપુનગરથી આરોપીની ધરપકડ કરી છે.

ચાર ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી વિનોદ જોષીએ ચાર ઈન્સ્ટાગ્રામ આઇડી યોગ એસ્ટ્રોલોજી, વિનોદજોષી એસ્ટ્રોલોજી, જોષીવિનોદ7 અને તમન્ના એસ્ટ્રોલોજી ના નામથી સાવરિયા જ્યોતિષ, તમન્ના જ્યોતિષ, સંતોષી જ્યોતિસ અને સંતોષી ક્રિપા જ્યોતિષના નામે વશીકરણ, પ્રેમ સંબંધ ,વિદેશ વિઝા, મુઠ ચોટ,છૂટા છેડા કરાવતા અને લગ્નના વિઘ્ન દૂર કરવાનો વિશ્વાસ આપીને લોકોને ટાર્ગેટ કરતો હતો.

જ્યોતિષના કામના વખાણ કરતી રિલ્સ બનાવતા

ખાડીયામાં આ જ્યોતિષ વિરુદ્ધ થયેલી ફરિયાદ બાદ પોલીસે ઇન્સ્ટાગ્રામ , ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને બેંક ટ્રાન્ઝેક્શનના ટેક્નિકલ એનાલિસિસના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. આરોપી અને તેના મિત્રોએ જ્યોતિષના નામે છેતરપીંડીનું નેટવર્ક શરૂ કર્યું હતું. આરોપીના મિત્રો ઇન્સ્ટાગ્રામમાં જ્યોતિષના કામના વખાણ કરતા રિલ્સ બનાવીને લોકોનો વિશ્વાસ ઉભો કરે છે. જે વ્યક્તિ પોતાની સમસ્યા માટે સંપર્ક કરે તો તાંત્રિક વિધિના નામે ઓનલાઈન ધાર્મિક વિધિ કરાવીને પૈસા પડાવતા હતા. આરોપીના બેન્ક એકાઉન્ટમાં 2024ના વર્ષમાં 50 લાખથી વધુનું ટ્રાન્જેક્શ થયું હોવાનું ખુલ્યું છે. આરોપી સાથે ચાર પાંચ વ્યક્તિ મળીને ઠગાઈના નેટવર્ક સાથે સંડોવાયેલા હોવાનું સામે આવતા પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે..

આરોપી ઇન્સ્ટાગ્રામનું પેજ પણ ખુદ હેન્ડલ કરતો

આરોપી વિનોદ જોષી બાપુનગરના ખોડિયારનગર વિસ્તારના ચંદ્રભાગા સોસાયટીમાં રહે છે. તે નાનું મંદિર બનાવીને જ્યોતિષ બન્યો હતો. આ આરોપી ઇન્સ્ટાગ્રામનું પેજ પણ ખુદ હેન્ડલ કરતો હતો. મિત્રો સાથે મળીને આરોપીએ લોકો સાથે છેતરપીંડી કરવાનુ શરૂ કર્યું હતું .અત્યાર સુધીમાં આરોપીએ અનેક લોકોને અંધશ્રદ્ધા અને ધાર્મિક વિદ્યાના નામે ઠગાઈ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.. ખાડીયા પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. આ ઠગ ટોળકીના અન્ય આરોપીઓ હજુ ફરાર હોવાથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. પોલીસે સોશિયલ મીડિયા પર જ્યોતિષના નામે ઠગાઈ કરતી ટોળકીથી સાવચેત રહેવાની પણ અપીલ કરી છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *