પાલનપુરને બાદ કરતાં જિલ્લાના અન્ય તાલુકાઓના કર્મચારીઓ હડતાળમાં ન જોડાયા
રાજ્ય, જિલ્લા અને તાલુકાઓના વીસીઈ કર્મચારી મંડળોમાં સંકલનનો અભાવ કે ખટરાગ??
રાજ્યની ગ્રામ પંચાયતોમાં નજીવા કમિશનથી સરકારની અનેક યોજનાની કામગીરી કરતા વીસીઇ કર્મચારીઓના સાત જેટલા પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ ન આવતાં રાજ્ય મંડળના હડતાળના આદેશના પગલે એક માત્ર પાલનપુર તાલુકા મંડળ દ્વારા ગઈકાલે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આજે એક દિવસ કામગીરીથી અળગા રહીને હડતાળ પાડી હતી.પરંતુ આશ્ચર્યજનક રીતે જિલ્લાના અન્ય તાલુકાના કર્મચારીઓ હડતાળમાં જોડાયા નહતા.તેથી રાજ્ય, જિલ્લા અને તાલુકાઓના વીસીઇ મંડળોમાં સંકલનના અભાવ સાથે ખટરાગ પણ બહાર આવ્યો હતો.
રાજ્ય વીસીઇ કર્મચારી મંડળના એક દિવસીય હડતાળના આદેશના પગલે પાલનપુર તાલુકાની પંચાયતોમાં વીસીઈ દ્વારા કરવામાં આવતી કામગીરી બંધ જોવા મળી હતી. વીસીઈ કર્મીઓ કામગીરીથી અળગા રહીને હડતાળમાં જોડાયાં હતાં. હડતાળમાં જોડાયેલા પાલનપુર તાલુકા વીસીઈ કર્મીઓએ પાલનપુર ખાતે બેઠક યોજી હતી અને પડતર પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જો કે આ બેઠકમાં વીસીઈ કર્મીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
વીસીઈ કર્મીઓના પડતર પ્રશ્નોને લઈને રાજ્યવ્યાપી હડતાળ છતાં પાલનપુર તાલુકા વીસીઈ મંડળ સિવાય જિલ્લાની અન્ય તમામ ગ્રામ પંચાયતોમાં જિલ્લા મંડળનું સમર્થન ન હોઈ સર્જાયેલ અવઢવને લઈ વીસીઈ કર્મીઓની કામગીરી રાબેતા મુજબ રહી હતી અને તેઓ હડતાળથી અળગા રહ્યાં હતાં.

