પાટણ શહેર અને જિલ્લામાં દશ દિવસીય શ્રી દશા માતા વ્રતનો અષાઢ વદ અમાસને બુધવાર ના પવિત્ર દિવસથી ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો છે.પાટણ અને જિલ્લાના ભક્તિ પ્રિય નગરજનોએ દશામાં ની પ્રતિમા ને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી દશા માતાના વ્રત નો વિધિ વત રીતે પ્રારંભ કર્યો હતો.
આ વ્રત દરમિયાન મહિલાઓ અને કેટલાક પુરુષો માતાજીની આરાધના કરશે.વ્રતની તૈયારીઓના ભાગરૂપે પાટણની બજારોમાં સવારથી જ ભક્તોની માતાજી ની નિતનવી પ્રતિમાઓની ખરીદી માટે ભીડ જામી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓ દશામાંની મૂર્તિઓ અને પૂજાની સામગ્રી ખરીદવા આવી હતી. દુકાનદારોએ વિવિધ શણગાર સાથે મૂર્તિઓને સજાવી હતી.
આ વર્ષે ખાસ કરીને માટીની મૂર્તિઓની માંગમાં વધારો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીમાં વધુ શ્રદ્ધાળુઓએ માટીની મૂર્તિઓ ખરીદી છે. કેટલાક ભક્તોએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પણ પસંદ કરી છે. જિલ્લા અને તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દશામાં વ્રતનું દિવસે દિવસે વિશેષ મહત્વ વધતું જતું હોય દસ દિવસ સુધી ભકતો માતાજી ની પુજા આરાધના કરી પોતાના જીવનની દશા સુધરે તેવી કામના વ્યકત કરશે.

