શનિવારે ઓડિશાના પુરી જિલ્લામાં ત્રણ બદમાશોએ એક સગીર છોકરી પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી હતી. તેને તાત્કાલિક ભુવનેશ્વરના એઈમ્સમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રવિવારે સવારે, સગીરની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હવે પીડિતાને સારવાર માટે વિમાન દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે. ડોક્ટરોનું કહેવું છે કે પીડિતાની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તે 70 ટકા બળી ગઈ હતી. હાલમાં, 12 ડોકટરો અને બે નર્સિંગ અધિકારીઓની ટીમ પીડિતાની સંભાળ રાખી રહી છે.
આ ઘટના શનિવારે સવારે 9 વાગ્યે બાલંગા પોલીસ સ્ટેશન વિસ્તારના બાયબાર ગામમાં બની હતી જ્યારે છોકરી તેના મિત્રના ઘરેથી પાછી ફરી રહી હતી. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ભુવનેશ્વરના ‘બર્ન સેન્ટર’ વિભાગના વડા સંજય ગિરીએ જણાવ્યું હતું કે સગીર છોકરી 70 ટકા બળી ગઈ છે પરંતુ તેની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે પીડિતા હાલમાં ICUમાં છે અને તેને કૃત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું, “અમે દર્દીને પ્રવાહી આપી રહ્યા છીએ. કુલ 12 ડોકટરો અને બે નર્સિંગ અધિકારીઓની ટીમ દર્દીની સંભાળ રાખી રહી છે.
AIIMS ભુવનેશ્વરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આશુતોષ બિશ્વાસે જણાવ્યું હતું કે, “દર્દીની સ્થિતિ સ્થિર છે અને આ સ્થિતિમાં તેને વિમાન દ્વારા લઈ જઈ શકાય છે. અમે કદાચ અઢી કલાકમાં તેને લઈ જઈશું. AIIMS દિલ્હીને આ અંગે જાણ કરવામાં આવી છે. તેને ખાસ વિમાન દ્વારા લઈ જવામાં આવશે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે AIIMS ભુવનેશ્વર અને ઓડિશા સરકારે AIIMS દિલ્હી અને દર્દીના પરિવાર સાથે વાત કરી છે કે તે પીડિતાને દિલ્હી લઈ જાય જેથી પીડિતાને સારી સારવાર મળી શકે. બીજી તરફ, ઓડિશાના CM મોહન ચરણ માંઝીએ શનિવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર પીડિતાને સારી સારવાર માટે દિલ્હી લઈ જવાની યોજના બનાવી રહી છે. જોકે, તેમણે કહ્યું હતું કે AIIMS ભુવનેશ્વરના અધિકારીઓ આ અંગે નિર્ણય લેશે.

