બનાસમાં જનભાગીદારી સાથેની જળક્રાંતિ સફળ; ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
બનાસ ડેરીએ કરેલી દૂધ ક્રાંતિ થકી આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે. પાણી વિના દૂધનો વ્યવસાય શક્ય નથી, જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન બાદ બનાસમાં જળસંચય માટે જળક્રાંતિ થઈ. બનાસ ડેરી અને લોક ભાગીદારી થકી જિલ્લાના તમામ તાલુકાઓમાં તળાવો ઊંડા કરવા તેમજ નવા તળાવનું નિર્માણ માટેની કામગીરી હાથ ધરાઈ હતી આજે જ્યારે જિલ્લામાં શ્રીકાર વરસાદ થયો ત્યારે બનાસ ડેરી અને જનભાગીદારીથી બનેલા તળાવમાં નવા નીર આવ્યા છે. જેને ખેડૂતો વધાવી રહ્યા છે.
આ વર્ષે દાંતીવાડા તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે દાંતીવાડા તાલુકામાં બનાવેલા ૪૭ જેટલા તળાવો ઓવરફ્લો થયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨માં દાંતીવાડાના રાણોલ સ્થિત અરવલ્લીની ગિરિમાળાઓની નીચેના વિસ્તારમાં ૫ તળાવ એકબીજા સાથે લિંક કરીને શરૂઆત કરાઈ હતી જે સાર્વત્રિક વરસાદને પરિણામે તળાવ ઓવરફ્લો થયા છે અને પહાડોમાં ઝરણા વહેતા થવાથી તળાવોમાં સતત પાણીની આવક પણ થઈ રહી છે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ભૌગોલિક પરિસ્થિતિઓને જોતા બનાસકાંઠામાં પાણીની તંગી રહેતી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે જિલ્લામાં ૩૦૦થી વધુ મોટા તળાવનું નિર્માણ કર્યું હતું. સારા વરસાદને પગલે આ સરોવરો પાણીથી ભરાઈ ગયા છે. જિલ્લામાં વરસાદી પાણીના રિચાર્જનું કામ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. કેચ ધ રેઈન અભિયાન અંતર્ગત જિલ્લામાં ૨૫ હજાર કરતા વધારે રિચાર્જ કુવાનું નિર્માણ કરાયું છે. જેનાથી વરસાદી પાણી જમીનમાં ઉતર્યું છે.
તેમણે જણાવ્યું કે, આજે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારનું જળ સંચયનું અભિયાન ખેડૂતો માટે આશીર્વાદ સમાન બન્યું છે. દાંતીવાડા અને અમીરગઢ જેવા તાલુકાઓમાં જ્યાં તળાવ બન્યા છે ત્યાં ઉનાળાની ઋતુમાં પણ હવે પાણીની તંગી નહીં રહે અને જમીનના ભુગર્ભ જળ ઊંચા આવશે. વૃક્ષારોપણ અને જળ સંચય થકી બનાસકાંઠાના ભૂગર્ભ જળ ઊંચા લાવી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું.

