બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન; કલેકટર ને આવેદનપત્ર વળતરની માંગ

બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન; કલેકટર ને આવેદનપત્ર વળતરની માંગ

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેતા મેઘરાજા

વહેલું ચોમાસું ખેડૂતો માટે બન્યું આફતરૂપ:મગફળી અને બાજરીનો પાક નષ્ટ થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

ભારતીય કિસાન સંઘે કલેકટર ને આવેદનપત્ર આપી નુકસાન વળતરની કરી માંગ; બનાસકાંઠા જીલ્લામાં મેઘરાજા એ વહેલી પધરામણી કરતા ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા માં વહેલું બેઠેલું ચોમાસું ખેડૂતો માટે આફતરૂપ બન્યું છે. છેલ્લા 25 દિવસથી વરસાદ વરસતા ખેતીના પાકોને ભારે નુકસાન થયું છે. ત્યારે આજે ખેડૂતોની વ્હારે ચડતા ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી નુકસાન વળતરની માંગ કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું 15 દિવસ વહેલું બેસી ગયું છે. જેથી જિલ્લામાં ભારે અને સતત વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરમાં ઉભો રહેલો બાજરી અને મગફળીનો પાક નષ્ટ થઈ ગયો છે. મગફળીની ખેતી મોંઘી હોઈ મગફળીનો પાક નષ્ટ થઇ જતા ખેડૂતો રોડ પર આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકાર ખેડૂતોને નુક્સાનીનું વળતર આપે તેવી માંગ ભારતીય કિસાન સંઘ ના અગ્રણી માવજીભાઈ લોહે કરી હતી.

ખેડૂતોને થયેલા નુકસાનને લઈને ભારતીય કિસાન સંઘ, બનાસકાંઠાએ જિલ્લા કલેકટર મિહિર પટેલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને રાહત પેકેજ આપવાની માંગ ખેડૂતોએ કરી હોવાનું મોહનલાલ સોલંકી નામના ખેડૂતે જણાવ્યું હતું.

ભારતીય કિસાન સંઘે ખેડૂતો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. જેમાં ખેડૂતોને નુક્સાનીનું વળતર કે રાહત પેકેજ નહિ મળે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

એશિયામાં સૌથી વધુ બાજરી ઉત્પાદન કરતો બનાસકાંઠા જિલ્લો

બનાસકાંઠા જિલ્લો એશિયામાં સૌથી વધુ બાજરી ઉત્પાદન કરતો જિલ્લો હોવાનો દાવો કરતા કિસાન સંઘના અગ્રણી માવજી ભાઈ લોહએ જણાવ્યું હતું કે, આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ વ્યાપક પ્રમાણમાં બાજરી સાથે મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળીની ખેતી મોંઘી ખેતી છે. ત્યારે ચાર મહિનાની મહેનત, મોંઘા બિયારણ બાદ પાક લેવાના સમયે વરસાદ થતાં ખેડૂતોને જિલ્લાભરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સતત વરસાદને પગલે ખેતરમાં રહેલ બાજરી અને મગફળીનો પાક નષ્ટ થઈ જતા ખેડૂતો દેવાદાર બની જવાની સાથે સરકાર વળતર કે રાહત નહીં આપે તો ખેડૂતોને જમીન વેચવા નો વારો આવશે તેવી ભીતિ માવજીભાઈ લોહએ વ્યક્ત કરી હતી.

વડગામ-ધાનેરામાં ભારે નુકસાન

વડગામ અને ધાનેરા તાલુકામાં પણ વરસાદે વિનાશ વેર્યો છે. વડગામમાં ખેડૂતોનો પાક ખેતરમાં જ ધ્વસ્ત થઈ ગયો છે. ખેડૂતો પાક લેવાની તૈયારી હતા ત્યારે જ વરસાદ થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાનું વડગામ કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. જ્યારે ધાનેરા તાલુકામાં તો નદીના વહેણ ખેતીમાં ફરી વળતા વાવેતર સહિત બોર ફેલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોઇ ખેડૂતો પાયમાલ થઈ ગયા હોવાનું ધાનેરા કિસાન સંઘના પ્રમુખ વિરમાભાઈ રૂપાભાઈ પટેલે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *