બનાસકાંઠા ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત
322 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ બેઠક માટે કસોક્સનો મુકાબલો; બનાસકાંઠા જિલ્લામાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે પ્રચાર પડઘમ શાંત થતા હવે ઉમેદવારો ડોર ટુ ડોર લોક સંપર્ક કરીને મતદારોને રીઝવશે. જો કે ઉમેદવારોનું ભાવિ આજે કતલની રાત ઉપર નિર્ભર રહેશે. બીજી બાજુ, રવિવારે મતદાનને લઈ વહીવટી તંત્ર ખડેપગે થઈ ગયું છે.
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ ૩૦૯ ફોર્મ સરપંચની બેઠક માટે અને ૭૦૫ ફોર્મ સભ્યોની બેઠક માટે ભરાયા હતા. જેમાંથી ચકાસણી દરમિયાન તમામ ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાંથી ૬૯ સરપંચ તથા ૪૭૪ સભ્યો બિન હરીફ બન્યા હતા. જેમાં ૩૦૯ ઉમેદવાર સરપંચની બેઠક માટે તથા ૭૦૫ ઉમેદવાર સભ્યોની ચૂંટણી યોજાઇ રહી છે.જિલ્લામાં ૩૨૨ ગ્રામ પંચાયતોમાંથી ૬૯ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિન હરીફ (સમરસ) બની છે. જ્યારે ૬૯ ગ્રામ પંચાયતો અંશત: બિન હરીફ બની છે. બાકીની કુલ ૩૨૨ ગ્રામ પંચાયતોમાં ૩૦૯ સરપંચની બેઠકો માટે તથા ૭૦૫ સભ્યોની બેઠક માટે ૨૨ જૂન ૨૦૨૫,રવિવારના રોજ મતદાન યોજાશે.
ચૂંટણીમાં ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી હતી.બેઠકો અને સભાઓ દ્વારા મતદારોને રિઝવવાના ભરચક પ્રયાસો થયા હતા.જો કે હવે સરકારી નિયમ મુજબ મતદાનના 48 કલાક અગાઉ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. તેથી હવે ઉમેદવારો સભાઓ કે બેઠકો યોજી શકશે નહીં પણ રૂબરૂ લોક સંપર્ક કરી શકશે.જો કે આજે શનિવારે કતલની રાત ઉપર ઉમેદવારોનું ભાવિ નિર્ભર રહેશે.હાલ તો ચૂંટણીને લઈ ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ઉત્તેજના વધી પડી છે.
794 મતદાન મથકો અને 6,63,915 મતદારો; જિલ્લાની 322 ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણીમાં રવિવારે કુલ ૭૯૪ મતદાન મથકો ઉપર ૬,૬૩,૯૧૫ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. જેમાં કુલ ૧૨૦૦ મત પેટીઓ ઉપયોગમાં લેવામાં આવનાર છે. જેના માટે અંદાજિત ૪૫૦૦ પોલિંગ સ્ટાફ તથા ૧૪૦૦ જેટલો પોલીસ સ્ટાફ મતદાન મથકે ફરજ બજાવશે. જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે.અને ૨૫ જૂન ૨૦૨૫ ના રોજ તાલુકા વાઇઝ અલગ અલગ કુલ નવ કાઉન્ટિંગ સ્થળોએ મત ગણતરી હાથ ધરવામાં આવશે.તેમ ચૂંટણી શાખાના અધિકારીએ જણાવ્યું હતું.

