બનાસકાંઠાના 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું

બનાસકાંઠાના 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું

કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા મડાણા ગઢ સેજાની કિશોરીઓએ આઈ.ટી.આઈ સંસ્થાની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જરના નેતૃત્વ હેઠળ કિશોરીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

પાલનપુરના ઘટક-4ના મડાણા ગઢ સેજા વિસ્તારમાં આવેલ 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને નૂતન ભારતી ગઢ મડાણા સંચાલિત લક્ષ્મીચંદ ઝવેરી આઈ.ટી.આઈ ખાતે મુલાકાત સાથે માર્ગદર્શિત કરાયા હતા. લક્ષ્મીચંદ ઝવેરી આઈ.ટી.આઈ સંસ્થાની મુલાકાત દરમિયાન કિશોરીઓને આચાર્યશ્રી તથા ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિવિધ ટ્રેડનો પરિચય અપાયો હતો. કિશોરીઓને ધોરણ 5, 8, 10 અને 12 પછી NIOS અને BAOU દ્વારા ઉચ્ચ અભ્યાસ તથા પ્રવેશ અંગે માર્ગદર્શન અપાયું હતું.

આ પ્રસંગે આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ અધિકારી દ્વારા કિશોરીઓને ICDS તથા પૂર્ણા યોજનાની સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવી હતી. ડ્રોપ આઉટ થયેલ કિશોરીઓને ફરી અભ્યાસ શરૂ કરાવવા તેમજ આઈ.ટી.આઈ.માં પ્રવેશ લઈને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે દરેક કિશોરીને આત્મનિર્ભર બનવા અંગેનું મહત્ત્વ સમજાવતું ઉત્તમ સંબોધન પણ કરવામાં આવ્યું હતું. આ તકે 10 કિશોરીઓએ આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. ભાવનાબેન, જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ અરૂણાબેન તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *