વડોદરા બાદ અમદાવાદમાં પણ પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ, લોકોએ તીરંગા અને ભરતમાતાના જયઘોષ સાથે કર્યું સ્વાગત
(જી.એન.એસ) તા. 26
અમદાવાદ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. જેમાં પ્રથમ દિવસે વડાપ્રધાન મોદી ભુજ પછી અમદાવાદ પહોંચ્યા છે, ત્યારે 26 મેની સાંજે વડાપ્રધાનનો ‘રોડ શૉ’ અમદાવાદના એરપોર્ટથી ઈન્દીરા બ્રિજ સર્કલ સુધી યોજાયો હતો. આ દરમિયાન ખુબજ મોટી સંખ્યામાં લોકો રોડ શૉમાં જોડાયા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાનશ્રી સાંજે અમદાવાદ એરપોર્ટ પર પધાર્યા ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રી મનોહરલાલ તથા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ પણ વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર શ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, એર માર્શલ શ્રી નાગેશ કપૂર, મેજર જનરલ શ્રી ગૌરવ બગ્ગા, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેકટર શ્રી સુજીત કુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં રોડ શૉ અને દાહોદમાં રૂ. 23,292 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને ભુજ પહોંચ્યા હતા. ભુજમાં પણ વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી સભા સ્થળ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શૉ યોજ્યો હતો. આ પછી અમદાવાદમાં પણ PM મોદીનો રોડ શૉ થઈ રહ્યો છે. રોડ શૉ દરમિયાન લોકોએ તીરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું.
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે 26 મેની સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદમાં રૂ. 23,292 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને સભાને સંબોધી હતી.
વડોદરા, દાહોદ અને ભુજમાં રોડ શો અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અમદાવાદ આવ્યા હતા. અહીં, એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી પીએમ મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ જનમેદની જોવા મળી હતી. રાજ્યભરમાંથી લોકો પીએમ મોદીને જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે. જ્યારે, 50 હજારથી વધુ કાર્યકર્તા પણ હાજર રહ્યા છે. રોડ શોનાં રૂટ પર અલગ-અલગ 26 જેટલા સ્ટેજ તૈયાર કરાયા છે. જ્યાં વિવિધ ઝાંખી અને સાંસ્કૃતિક નૃત્યનું પ્રદર્શનનું આયોજન કરાયું છે. અંદાજિત 2 કિમી લાંબો રોડ શો પીએમ મોદી કરવાનાં છે.


