(જી.એન.એસ) તા. 19
અમદાવાદ,
આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવ, આસપાસમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહા નગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમા પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, ચંડોલા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મનપા. દ્વારા ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પાલિકાના અધિકારીઓનો અંદાજ છે કે આ વિસ્તારમાં જેટલી માત્રામાં હજુ દબાણ છે, તેને જોતા ડિમોલિશનમાં બે થી ત્રણ દિવસથી વધુ સમય લાગી શકે છે.
મહત્વનું છે કે, અમદાવાદ મનપા. દ્વારા આ ડિમોલિશનથી અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક આવાસ ફાળવવાની યોજના બનાવી રહી છે. AMC અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારને સાફ કરવો એ માત્ર શહેરી વિકાસ માટે જ નહીં, પરંતુ મૂળિયાં જમાવી ચૂકેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે.


