પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ભારત સંબંધિત આપ્યું મોટું નિવેદન
(જી.એન.એસ) તા. 16
ઇસ્લામાબાદ,
આ વર્ષે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જેના પર ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલોને હવામાં તોડી પાડ્યા.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંનેના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) એ તાજેતરમાં ચાલુ યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા માટે હોટલાઇન દ્વારા વાતચીત કરી હતી. ડારે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો વર્તમાન યુદ્ધવિરામ કરાર 18 મે સુધી અમલમાં રહેશે, ત્યારબાદ તે જ દિવસે બંને DGMOs વચ્ચે ચર્ચાનો બીજો રાઉન્ડ સુનિશ્ચિત થયેલ છે.
સાથેજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરહદ પારથી સતત ચાર દિવસ સુધી થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પછી 10 મેના રોજ યુદ્ધવિરામ સમજૂતી અમલમાં આવી હતી. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી લશ્કરી દુશ્મનાવટ રોકવા અને સરહદ પર તણાવ ઓછો કરવાનો આ પગલું હતું.
પાકિસ્તાનની સંસદમાં બોલતા, ડારે કહ્યું કે પાકિસ્તાનના મેજર જનરલ કાશિફ અબ્દુલ્લા અને તેમના ભારતીય સમકક્ષ, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ વચ્ચે બુધવારે બપોરે (14 મે) હોટલાઇન પર વાતચીત થઈ હતી. જોકે, ડારની ટિપ્પણી અંગે ભારતીય પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. નવી દિલ્હીમાં ભારતીય સૈન્યના એક વરિષ્ઠ અધિકારીએ ઉલ્લેખ કર્યો છે કે 10 મેના રોજ થયેલી પરસ્પર સમજૂતી બાદ બંને દેશો વિશ્વાસ વધારવાના પગલાં ચાલુ રાખવા પર સંમત થયા છે.
પાક. મંત્રી ડારે સંસદમાં વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે DGMOs વધુ ચર્ચા માટે 18 મેના રોજ ફરીથી કનેક્ટ થવાની અપેક્ષા છે. જ્યારે વાટાઘાટોની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી, બંને પક્ષો યુદ્ધવિરામ પ્રતિબદ્ધતાને જાળવી રાખવા સંમત થયા હોવાના અહેવાલ છે. જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ, ડારે સમજાવ્યું હતું કે પ્રથમ ડીજીએમઓ-સ્તરની વાટાઘાટો દરમિયાન શરૂઆતમાં યુદ્ધવિરામ 12 મે સુધી લંબાવવામાં આવ્યો હતો. ત્યારબાદની વાટાઘાટો દરમિયાન તેને 14 મે સુધી લંબાવવામાં આવ્યો હતો, અને તાજેતરની વાતચીત પછી, તે હવે 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, આ નિવેદન ડારે સીએનએન સાથેની એક મુલાકાતમાં છુપી ધમકી આપ્યાના થોડા સમય પછી આવ્યું છે, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલતા સિંધુ જળ સંધિ વિવાદનો ઉકેલ નહીં આવે તો યુદ્ધવિરામ કરાર જોખમમાં મુકાઈ શકે છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જો આ મામલાને ઉકેલવામાં નહીં આવે તો તેને “યુદ્ધનું કૃત્ય” ગણી શકાય.


