પાસપોર્ટ વિઝા વગર ઘૂસણખોરી કરી ભારતમાં પ્રવેશ કર્યો હતો : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હિંદુઓના નરસંહાર બાદ ભારત સરકારે ખૂબ જ સખત પગલાં લીધા છે. ત્યારે દેશના ખૂણે ખૂણે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરીને ભારત દેશમાં સ્થાયી થયેલા તમામ લોકોને દેશવટો આપી તેમના દેશમાં મોકલવાની ગતિવિધિ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ દિશામાં યોગ્ય પગલાં લઈ તપાસના આદેશ કરતા ગુજરાત પોલીસે રાજ્યનો ખૂણે ખૂણો ફેંદી નાખી એક એક ઘૂસણખોરોને શોધી શોધીને બહાર લાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશને અનુસરતા પશ્ચિમ બંગાળના આશરે 187 નાગરિકોની તપાસ કરી ઓળખ કરી છે. મહેસાણા જિલ્લાના એક એક શહેર અને ગામોમાં આદરેકી તપાસમાં પોલીસે તપાસ દરમિયાન માહિતી મળેલ કે ઊંઝાના વણાગલા રોડ પર એક ઓરડીમાંથી ગેરકાયદે ઘુસેલી બાંગ્લાદેશી મહિલા વસવાટ કરી રહી છે, ત્યારે શરૂઆતમાં શંકાના દાયરામાં રાખી વણાગલા રોડ પર આવેલી ઓરડીમાં સઘન તપાસ કરતા સાગર મામલો શંકાસ્પદ જણાઈ આવતા મહેસાણા જિલ્લા એસઓજી પોલીસની ટીમે તત્કાલ ઝડપી પાડી સરકારી આદેશ અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવ મામલે બાબતે પાસપોર્ટ-વિઝા વગર ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશી નાગરીકો અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ઝુંબેશ અંતર્ગત મહેસાણા જિલ્લાનાં વિવિધ પોલીસ મથકના સ્ટાફ દ્વારા પશ્ચિમ બંગાળના કુલ 187 નાગરિકોની તપાસ પૂર્ણ કરી છે. તે અંતર્ગત વધુ તપાસ અર્થે નીકળેલા મહેસાણા SOG પીએસઆઈ એમ.બી.સિંધવ ટીમ સાથે ઉનાવા વિસ્તારમાં તપાસની કામગીરીમાં હતા. ત્યારે ખાનગી રહે મળેલી બાતમી આધારે ટીમે ઊંઝાના વણાગલા રોડ ઉપરના મહાકાળી મંદિરની એક ઓરડીમાં રહેતી બાંગ્લાદેશી મહિલા મયુરીખાતુન ઈશ્માઈલ મકુમ(ઉં.વ.૩૦) (મૂળ રહે. જિલ્લો જોશોર, બાંગ્લાદેશ)ની પૂછપરછ કરી હતી. જેમાં તે બાંગ્લોદેશી હોવાનું જણાતાં એસઓજી પોલીસ મથકે લઈ આવીને વધુ પૂછપરછ કરતાં તેની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા ન હોવાનું તેમજ બાંગ્લાદેશી નાગરિક હોવાની કબૂલાત કરી હતી. તેની પાસે કોઈ ભારતીય ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ કે અન્ય પુરાવા પણ ન હોવાનું જણાવતી હતી. મહિલાનો મોબાઈલ જપ્ત કરી નિવેદન લેવાયું હતું. પાસપોર્ટ વિઝા વગર ભારત દેશમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઊંઝા આવેલી બાંગ્લાદેશી મહિલાને રિસ્ટ્રીક્શનમાં રાખવામાં આવી છે. જ્યાં તેની ઉચ્ચ સ્તરીય તપાસ સાથે વિગતવાર માહિતી મેળવીને યોગ્યતા જણાએ તેને તેના દેશ બાંગ્લાદેશ ખાતે રવાના કરવામાં આવશે.

