(જી.એન.એસ) તા. 10
નવી દિલ્હી,
કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. 7મા નાણાપંચ હેઠળ મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થશે.
નવું ડીએ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવ્યું છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓને પણ તેનું બાકી રહેલું ભથ્થું મળશે. લગભગ 48.66 લાખ કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને (DA Hike)આનો લાભ મળશે. સરકારે વર્તમાન DA 53 ટકાથી વધારીને 55 ટકા કર્યો છે. આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓને હવે તેમના મૂળ પગારના 55 ટકા મોંઘવારી ભથ્થા તરીકે મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી સરકારી ખર્ચમાં પણ વધારો થશે. નવા DA અને DRથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 6,614.04 કરોડનો વધારાનો બોજ પડશે.
ડીએ મૂળ પગાર પર આપવામાં આવે છે, તેથી દરેક કર્મચારી માટે પગાર વધારો અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે સમજીએ તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા હોય, તો પહેલા તેને 53 ટકા DA એટલે કે 10,600 રૂપિયા મળતા હતા. હવે ડીએ વધીને 55 ટકા થઈ ગયું છે, જેનો અર્થ છે કે હવે તેને 11,000 રૂપિયા મળશે. આનો અર્થ એ થયો કે દર મહિને 400 રૂપિયાનો વધારો થશે. તેવી જ રીતે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 50,000 રૂપિયા હોય તો તેને 26,500 રૂપિયા ડીએ મળતો હતો, જે હવે વધીને 27,500 રૂપિયા થશે. એટલે કે પગારમાં 1,000 રૂપિયાનો વધારો થશે.

